તેજબહાદુરની ઉમેદવારી રદ, PM મોદી સામે નહીં લડી શકે ચૂંટણી
તેજ બહાદુર યાદવ
વડાપ્રધાન મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડી રહેલા તેજબહાદુરને ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજબહાદુર યાદવની ઉમેદવારી ચૂંટણી પંચે રદ કરી છે. BSFના આ પૂર્વ જવાન હવે ચૂંટણી નહીં લડી શકે. તેજબહાદુર યાદવના ઉમેદવારી પત્રમાં ગરબડ સામે આવી હતી. તેજબહાદુરને વધુ એક પ્રમાણ પત્ર જમા કરાવવા કહેવાયું હતું, પરંતુ તે પ્રમાણપત્ર જમા ન કરાવી શક્યા.
પરિણામે તેજબહાદુરની ઉમદેવારી રદ કરી દેવાઈ છે. ખુદ તેજબહાદુર યાદવે આ મામલે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે તેજબહાદુરે વારાણસીથી અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું, જો કે બાદમાં તેમને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ટેકો જાહેર કર્યો હતો. હવે સમાજવાદી પાર્ટી ચૂંટમી પંચના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
તેજબહાદુરની ઉમેદવારી પર તલવાર શરૂઆતથી જ લટકી રહી હતી. તેમણે બે સોગંદનામાં પોતાને બરખાસ્ત કરવાના જુદા જુદા કારણ આપ્યા હતા. પહેલા તેજબહાદુરે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જેની સાથે કરેલા સોગંદનામામાં કહેવાયું હતું કે ભ્રષ્ટાચારના આરોપને કારણે તેમને બરખાસ્ત કરી દેવાયા.
આ પણ વાંચોઃ લોકસભા 2019: સેલેબ્સે કર્યું મતદાન, સામે આવી તસવીરો
જો કે બાદમાં સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપતા તેજબહાદુરે ફરી ઉમેદવારી પત્ર ભર્યું અને આ વખતે સોગંદનામામાં બરખાસ્ત કરવાનું કારણ છુપાવાયું હતું. રિટર્નિંગ ઓફિસરે આ માહિતીને આધારે તેજબહાદુર પાસે સ્પષ્ટતા માગી હતી. પરંતુ સંતોષજનક જવાબ ન મળતા તેજબહાદુરનું ઉમેદવાર પત્ર રદ કરી દેવાયું છે.