આરોપ મૂક્યો કે કેન્દ્ર સરકારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા માટે પુલવામામાં હુમલો કરાવ્યો હતો
પ્રણિતી શિંદે
કૉન્ગ્રેસનાં સોલાપુર લોકસભા બેઠકનાં ઉમેદવાર પ્રણિતી શિંદેએ શનિવારે જાહેર ભાષણમાં કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે ‘જ્યારે આ લોકોને સમજાય છે કે ચૂંટણીમાં પોતાની સ્થિતિ સારી નથી ત્યારે એ જાતિ-જાતિ વચ્ચે ભેદભાવ ઊભો કરે છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી સમયે જ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આપણા સૈનિકોની ટુકડી પર હુમલો કરાવવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ કહ્યું છે. આ લોકો ચૂંટણી જીતવા માટે આપણા સૈનિકોનું લોહી પણ વહેવડાવી શકે છે.’
પ્રણિતી શિંદેના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વાંધો લઈને ઇલેક્શન કમિશનમાં ફરિયાદ નોંધાવી છે. આથી પ્રણિતી શિંદેની મુશ્કેલી વધી શકે છે. ૨૦૧૯ની ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં ભારતીય સેનાની બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.