દિલ્હીમાં ઍર ઇમર્જન્સી લાગુ: શાળાઓ આજે પણ બંધ રહેશે
પર્યટકો અને પ્રદૂષણ - દિલ્હી અને આસપાસનાં ક્ષેત્રોમાં ધુમાડાના પ્રદૂષણનો પ્રસાર એટલો વ્યાપક છે કે ગઈ કાલે તાજમહલની મુલાકાતે ગયેલા પર્યટકોએ માસ્ક પહેરીને ફોટોગ્રાફરને પોઝ આપ્યો હતો.
દેશના પાટનગર દિલ્હી અને એનસીઆર ઝેરી ગૅસની ભટ્ટીમાં તબદીલ થઈ ગયા છે. ભયંકર વાયુ પ્રદૂષણને પગલે આ શહેરોમાં ઍર ઇમર્જન્સી લાગુ કરવાની નોબત આવી છે. પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે લોકોને ઘરમાં પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને સ્થિતિમાં સુધારાની કોઈ જ સંભાવના જણાતી નથી. ગુરુવારે પણ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સમાં પ્રદૂષણ (પીએમ ૨.૫)નું પ્રમાણ ૫૦૦થી ઊંચું રહ્યું હતું. સુરક્ષિત સ્તર કરતાં આ પાંચ ગણું વધારે જણાયું હતું.
પ્રદૂષણની આગાહી કરતી એજન્સીના જણાવ્યા મુજબ ૧૫ નવેમ્બર સુધી દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં આ જ સ્થિતિ યથાવત્ રહી શકે છે. જોકે ધુમાડાનું પ્રમાણ ગુરુવારથી આંશિક ઘટી શકે છે. અગાઉ ૨૦૧૬ નવેમ્બરમાં સૌથી વધુ પ્રદૂષણનું સ્તર નોંધાયું હતું. એ સમયે દિવાળી બાદ પખવાડિયા સુધી દિલ્હીમાં પ્રદૂષણ અત્યંત ગંભીર ઝોનમાં રહ્યું હતું. ૨૦૧૯માં આ રેકૉર્ડ તૂટે એવી આશંકા સેવાઈ રહી છે.
૧૫ દિવસમાં ત્રીજી વખત પ્રદૂષણને લઈને ઇમર્જન્સી જોવા મળી રહી છે. પરિણામે દિલ્હી-એનસીઆરમાં તમામ શાળાઓ ગુરુવાર અને શુક્રવારનાં બંધ રહેશે.
આ પણ જુઓઃ Happy Birthday Aarohi: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...