દેશની આર્થિક રાજધાની એવા આપણા આ શહેરના પ્રથમ નાગરિકનો ઠાઠ ભોગવતા મુંબઈના નેક્સ્ટ મેયર કોણ બનશે એ વિશે ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે મુંબઈમાં મેયરપદના ઇતિહાસ સાથે તેમના કાર્યક્ષેત્ર, અધિકારો અને મળતી ફૅસિલિટી પર ચર્ચા કરી લઈએ
મુંબઈના મેયરને પદ સાથે થોડા અધિકાર પણ આપોને
રાજકીય નિષ્ણાતોથી લઈને ભૂતપૂર્વ મેયરોની પણ આ ડિમાન્ડ છે. દેશની આર્થિક રાજધાની એવા આપણા આ શહેરના પ્રથમ નાગરિકનો ઠાઠ ભોગવતા મુંબઈના નેક્સ્ટ મેયર કોણ બનશે એ વિશે ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે મુંબઈમાં મેયરપદના ઇતિહાસ સાથે તેમના કાર્યક્ષેત્ર, અધિકારો અને મળતી ફૅસિલિટી પર ચર્ચા કરી લઈએ
ADVERTISEMENT
સિટીના પ્રથમ મેયર
કરવું શું જોઈએ?
વ્યથા મુંબઈના મેયરની
સંસદસભ્યથી લઈને કૉર્પોરેટર સુધીનાને લાખો રૂપિયાનો માસિક પગાર મળે છે પણ મુંબઈના મેયરપદ માટે કોઈ સૅલેરી નથી હોતી. હા, કૉર્પોરેટરને મળે એમ તેમને ઑનરેરિયમ મળે. અત્યારે મેયરને લગભગ ૨૫,૦૦૦ રૂપિયા ઑનરેરિયમ મળે છે એમ જણાવીને ભૂતપૂર્વ મેયર શુભા રાઉળ કહે છે, ‘મેયરને મળનારી સુવિધા જોવી હોય તો એમાં ફોનની સુવિધા છે તો સાથોસાથ પર્સનલ અસિસ્ટન્ટ મળે છે. મેયર હાઉસમાં સર્વન્ટ હોય છે અને ગાડી અને ડ્રાઇવર મળે છે અને સિક્યૉરિટી મળે છે, પણ એ પબ્લિક-ઇલેક્ટેડ મેયર નથી એટલે તેના હાથમાં સત્તાના નામે કશું નથી. લોકો દ્વારા ચૂંટાયેલા મેયર પાસે પાવર હોય છે, જે કલકત્તાના મેયર પાસે છે; પણ શબ્દો ચોર્યા વિના કહેવું હોય તો કહી શકાય કે મહારાષ્ટ્રના કોઈ પણ ગામડાના સરપંચ પાસે હોય છે એટલા પાવર પણ મુંબઈના મેયર પાસે નથી હોતા. મેયરનું પદ હાથી પર બેઠેલા એક માણસ જેવું છે. એક મહાવત હોય, ઉપર છત્ર હોય પણ હાથી કઈ દિશામાં જશે એ મહાવત એટલે કે કમિશનર નક્કી કરતા હોય. બસ, પેલા માણસે તો ઉપર બેસીને જોયા કરવાનું કે હાથી કઈ બાજુએ જાય છે. અરે, હાથી પરથી ઊતરવા માટે પણ બીજા માણસોની હેલ્પ લેવાની અને પછી હાથી પરથી ઊતરવાનું.’
આ પણ યાદ રાખો...
૧. BMC દેશની સૌથી શ્રીમંત પાલિકા છે.
૨. કોઈ દરખાસ્તમાં સમાન મત થાય તો એવા સમયે મેયરનો વોટ નિર્ણાયક બને છે.
૩. મરાઠી ઉપરાંત ગુજરાતી, મુસ્લિમ, પારસી પણ મુંબઈના મેયર રહી ચૂક્યા છે.
૪. સુલોચના મોદી મુંબઈનાં પ્રથમ મહિલા મેયર હતાં. તેમને ૧૯પ૬માં આ પદ સોંપાયું.
પ. ૨૦૨૨થી ૨૦૨પ સુધી મુંબઈમાં મેયર નહીં પણ ઍડ્મિનિસ્ટ્રેટર હતા જે મેયર વગરનો અત્યાર સુધીનો સૌથી લાંબો પિરિયડ છે.
મેયર આવા પણ હોય
મિનિમમ એક્ઝિક્યુટિવ પાવર સાથે પણ જો મેયર ધારે તો કામ કરી શકે. એનો દાખલો શુભા રાઉળ બની શકે. ૨૦૦૭થી ૨૦૦૯ના પોતાના મેયરપદના કાર્યકાળમાં શિવસેનાનાં સિનિયર નેતા શુભા રાઉળે ગજબનાક કામગીરી કરી હતી. પ્રોફેશનલી આયુર્વેદિક ડૉક્ટર એવાં શુભા રાઉળે લીધેલા હેલ્થ અને પર્યાવરણલક્ષી નિર્ણયો આજે પણ મુંબઈકરોને યાદ છે. ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ માટે તેમણે રીતસરની ઝુંબેશ ઉપાડી હતી તો ગણેશ-વિસર્જન સમયે પર્યાવરણને નુકસાન ન થાય એ માટે તેમણે આર્ટિફિશ્યલ પૉન્ડ્સ એટલે કે કૃત્રિમ તળાવો બનાવવાનો આગ્રહ રાખ્યો હતો તો મુંબઈમાં નુકસાનકર્તા પ્લાસ્ટિકની બૅગનો ઉપયોગ બંધ થાય એ માટે તેમણે સક્રિય પ્રયાસો કર્યા હતા. આ એ સમયની વાત છે જે સમયે હુક્કા પાર્લરની મુંબઈમાં બોલબાલા હતી. શુભા રાઉળે આ હુક્કા પાર્લર સામે પણ રીતસરની ઝુંબેશ ઉપાડી હતી. શુભા રાઉળ ‘મિડ-ડે’ સાથે પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘મને બહારથી ખબર પડી કે હુક્કા પાર્લરમાં નિકોટીન સાથે હુક્કો સર્વ થાય છે. અમે તપાસ કરી, સૅમ્પલ લીધાં અને એમાં નિકોટીન આવ્યું. આપણા દેશમાં કાયદો છે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાને તમાકુ વેચી ન શકાય તો પછી આ હુક્કા પાર્લરમાં કેવી રીતે ૧૩ અને ૧૪ વર્ષના ટીનેજર્સને એન્ટ્રી મળવી જોઈએ? અને બસ, વાત લાગતીવળગતી ઑથોરિટી સુધી પહોંચાડી. તેમણે ઠરાવ પસાર કરી નિર્ણય લીધો કે હુક્કા પાર્લરમાં પણ ૧૮ વર્ષથી નાની ઉંમરનું બાળક જઈ નહીં શકે. આજે હુક્કા પાર્લરમાં ૧૮ વર્ષથી નાની ઉંમરનાને એન્ટ્રી નથી.’
દેશમાં ક્યાંય હેપેટાઇટિસ-Bની વૅક્સિન ફ્રીમાં નહોતી આપવામાં આવતી એ સમયે શુભા રાઉળે BMCમાં હેપેટાઇટિસ-Bની વૅક્સિન ફ્રી કરાવી હતી. શુભા રાઉળ કહે છે, ‘જેને જે લાગવું હોય એ લાગે પણ હું કહીશ કે સેન્સિટિવ મેયર હોય તો તે ધારે એવું પરિણામ લાવી શકે. કરવા માટે ઘણું છે. હેલ્થથી લઈને એન્વાયર્નમેન્ટ સુધીનાં કામ કરવાં જોઈએ. હું તો કહીશ કે અવેરનેસ લાવવાનું કામ પણ મેયર જો સંભાળી લે તો પણ મુંબઈને બહુ મોટો લાભ મળે. ગાર્ડનમાં પંદર ટકા રિઝર્વ સ્પેસ રાખો અને એમાં હર્બલ પ્લાન્ટેશન કરાવો. કૉસ્મેટિક ટ્રીથી માત્ર લુક આવશે પણ હર્બલ પ્લાન્ટેશનથી લોકોને ફાયદો થશે. અજમો, તુલસી, અશ્વગંધા જેવા છોડ સરળતાથી મળે છે તો પછી ગાર્ડનમાં એનો ઉપયોગ શું કામ ન કરવો? હું મેયર હતી ત્યારે મેં બુકે અપાવવાનું બંધ કર્યું હતું. બુકે આપવાને બદલે હું પ્લાન્ટ આપતી, જેને ક્યાંક વાવી શકાય અને એન્વાયર્નમેન્ટ સુધારવામાં એક સ્ટેપ આગળ વધી શકાય. અરે, મેં તો શાલ ઓઢાડવાની પ્રક્રિયા પણ બંધ કરાવી હતી. આપણે ત્યાં શું હોય છે, સન્માન માટે શાલ ઓઢાડે. મેં કહ્યું કે લેડીનું સન્માન કરતા હો તો સાડી આપો, ઓઢણી આપો. આર્ટને પ્રમોટ કરો, પણ કરો એવું કે જેનાથી સોસાયટીને લાભ થાય.’
આ જ રીતે ૨૦૧૨થી ૨૦૧૪ના પિરિયડમાં મુંબઈના મેયર રહેલા સુનીલ પ્રભુએ અંગત રીતે આગેવાની લઈને અનેક કામ કર્યાં હતાં. પાલિકાની હૉસ્પિટલોમાં સુવિધા યોગ્ય રીતે મળે છે કે નહીં એ જોવા અને ત્યાં સ્વચ્છતા જળવાયેલી છે કે નહીં એ ચેક કરવા સુનીલ પ્રભુ સરપ્રાઇઝ ચેકિંગ કરતા. મુંબઈને ‘ક્લીન મુંબઈ’ બનાવવા માટે જો કોઈએ ઍક્ટિવ રોલ પ્લે કર્યો હોય તો એમાં સુનીલ પ્રભુનું નામ ચોક્કસ લેવું પડે. પોતાના કાર્યકાળ દરમ્યાન તેમણે વીસ વર્ષ પછીના મુંબઈને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો અને મુંબઈના રસ્તા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જુદી જ દિશામાં લઈ જવાનું કામ કર્યું. મેયરપદ પર તેમની કામગીરીની એટલી સરાહના થઈ કે તેમને ૨૦૧૪માં વિધાનસભાની ટિકિટ આપવામાં આવી અને તે વિધાનસભ્ય બન્યા. સુનીલ પ્રભુ કહે છે, ‘આ એક એવું પદ છે જેના થકી તમારું શહેર ઓળખાય છે. આ પદ પર આવ્યા પછી તમારે આગળના સમયને જોવો પડે. મારા કાર્યકાળમાં સિવેજ લાઇન નાની હતી, એને ટનલ કરીને મોટી કરાવવાનું કામ કર્યું જેથી વૉટર-વેસ્ટ બહાર ન આવે. આ જ પિરિયડમાં અમે કોસ્ટલ રોડનું પ્લાનિંગ પણ કર્યું અને આ જ પિરિયડમાં અમે મેડિકલ હેલ્થ સેન્ટર અપગ્રેડ કરાવ્યાં અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ શરૂ કર્યા જેમાં BMCની સ્કૂલોને જોડી. આજે પણ કરવા માટે ઘણાં કામ છે. મને લાગે છે કે એ કામોમાં સૌથી અગત્યનું જો કોઈ કામ હોય તો એ છે દરિયાના પાણીને ખારામાંથી મીઠું કરવાની દિશામાં કામ કરવું અને મુંબઈ માટે નવાં તળાવો બનાવવાં. જો આ દિશામાં કામ ન થયું તો ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન મોટો બનશે.’


