Western Railway Block: માળખાગત સુવિધાઓની જાળવણી માટે જરૂરી આ નાઇટ બ્લૉક; ભાયંદર અને બોરીવલી વચ્ચે ટ્રેક સમારકામ, સિગ્નલિંગ સિસ્ટમ્સ અને ઓવરહેડનું કામ હાથ ધરવામાં આવશે
ફાઈલ તસવીર
મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train)ની સર્વિસમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન આવે તે માટે રેલવે પ્રશાસન અવારનવાર મેગા બ્લૉક (Mega Block), જમ્બો બ્લૉક (Jumbo Block) અને નાઇટ બ્લૉક (Night Block) હાથ ધરે છે. આ વિકેન્ડ પર પશ્ચિમ રેલવે (Western Railway - WR)માં નાઇટ બ્લૉકની જાહેરાત કરવામાં આવી છે. ૨૪-૨૫ મે શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે ભાયંદર (Bhayandar) અને બોરીવલી (Borivali) સ્ટેશનો વચ્ચે આ નાઇટ બ્લૉક હાથ ધરવામાં આવશે.
પશ્ચિમ રેલવે (Western Railway - WR)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે, ૨૪-૨૫ મે, ૨૦૨૫ના રોજ શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે ભાયંદર અને બોરીવલી સ્ટેશનો વચ્ચે જરૂરી જાળવણી કાર્ય હાથ ધરવા માટે નાઇટ બ્લૉક હાથ ધરવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુંબઈ લોકલ ટ્રેન અપડેટ્સ અનુસાર, ટ્રેક સમારકામ, સિગ્નલિંગ સિસ્ટમ્સ અને ઓવરહેડ સાધનો સહિત રેલવેની માળખાગત સુવિધાઓની જાળવણી માટે આ બ્લૉક જરૂરી છે.
ADVERTISEMENT
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (Chief Public Relations Officer) વિનીત અભિષેક (Vineet Abhishek)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અપ ફાસ્ટ લાઇન પર રાત્રે ૧૧:૩૦ થી ૩:૦૦ વાગ્યા સુધી અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧:૧૫ થી ૪:૪૫ વાગ્યા સુધી ‘જમ્બો બ્લૉક’ અમલમાં રહેશે. આ કલાકો દરમિયાન, બધી ફાસ્ટ લોકલ ટ્રેનોને વિરાર/વસઈ રોડ (Virar/Vasai Road) અને બોરીવલી વચ્ચે અપ સ્લો લાઇન પર વાળવામાં આવશે. પરિણામે, કેટલીક લોકલ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે, મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટ્રેનના સમયપત્રક અને સેવામાં ફેરફાર અંગે વિગતવાર માહિતી માટે તેમના સંબંધિત સ્ટેશનો પર સ્ટેશન માસ્ટરની ઑફિસનો સંપર્ક કરે.
પશ્ચિમ રેલવેએ એ પણ પુષ્ટિ આપી છે કે, રવિવાર ૨૫ મે ૨૦૨૫ના રોજ કોઈ દિવસ બ્લોક રહેશે નહીં. જેથી દિવસ દરમિયાન ઉપનગરીય ટ્રેન સેવાઓ અવિરત ચાલુ રહેશે.
નોંધનીય છે કે, ગત રવિવારે ૧૮ મેના રોજ પણ પશ્ચિમ રેલવેમાં દિવસ દરમિયાન કોઈ બ્લૉક રાખવામાં નહોતો આવ્યો. બાદમમાં ભાઈંદર અને વસઈ વચ્ચે મંગળવારે ૨૦ મેના રોજ મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યાથી બુધવારના ૨૧ મેના રોજ પરોઢિયાના ૪.૦૦ વાગ્યા સુધીનો નાઇટ બ્લૉક રાખવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન સ્લો ટ્રૅક પર કામ કરવાનું હોવાથી સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવી હતી. તેમજ આ દરમિયાન કેટલીક સર્વિસ કૅન્સલ કરવામાં આવી હતી.
ગત મહિને પશ્ચિમ રેલવેમાં રી-ગર્ડરિંગના કામ માટે બોરીવલી અને કાંદિવલી સ્ટેશન વચ્ચે શનિવારે ૨૬ એપ્રિલે બપોરે એક વાગ્યાથી રવિવારે રાતે બાર વાગ્યા સુધી ૩૫ કલાકનો મેજર બ્લૉક હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં બન્ને સ્ટેશનો વચ્ચે બ્રિજ-નંબર ૬૧ના કામ માટે પાંચમી લાઇન, કારશેડ લાઇન અને કાંદિવલી ટ્રાફિક યાર્ડ લાઇન પર બ્લૉક રાખવામાં આવ્યો હતો. એટલે તે સમયે આ લાઇન પર ચાલતી લોકલ અને બહારગામની ટ્રેનો ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. તે સમયે શનિવારે ૨૬ એપ્રિલે ૭૩ લોકલ ટ્રેનો અને રવિવારે ૨૭ એપ્રિલે ૯૦ લોકલ ટ્રેનો એમ કુલ ૧૬૩ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી.


