૪ જૂને મતગણતરી થશે ત્યારે આ બેઠકોમાંથી દિલ્હીના સંસદભવનમાં કોણ બિરાજશે એનો ફેંસલો થઈ જશે.
ગઈ કાલે નાગપુરમાં મતદાન કર્યા પછી નીતિન ગડકરી, મોહન ભાગવત અને દેવેન્દ્ર ફડણવીસ.
લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં મહારાષ્ટ્રના વિદર્ભની પાંચ બેઠકોમાં ગઈ કાલે કોઈ પણ પ્રકારની ગરબડ વિના શાંતિથી મતદાન પાર પડ્યું હતું. નક્સલગ્રસ્ત ગડચિરોલી-ચિમુર લોકસભા મતદારસંઘમાં સૌથી વધુ તો હાઇવેમૅન તરીકે ઓળખાતા નીતિન ગડકરીના નાગપુરમાં સૌથી ઓછા લોકોએ ચૂંટણીમાં રસ દાખવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગડચિરોલી-ચિમુર અને ચંદ્રપુર બેઠકોમાં જોકે ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીએ સાતથી દસ ટકા જેટલું ઓછું મતદાન થયું છે. આ વખતે આ પાંચ બેઠકો પર સરેરાશ ૫૫.૨૯ ટકા મતદાન થયું છે, જ્યારે ૨૦૧૯માં ૬૪.૦૪ અને ૨૦૧૪માં ૬૫.૦૮ ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં થયેલી ઊથલપાથલને લીધે કે પછી સખત ગરમીને કારણે લોકોએ મત નહોતા આપ્યા એ કહેવું મુશ્કેલ છે. પહેલા તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે જ નીતિન ગડકરી અને સુધીર મુનગંટીવાર સહિતના ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. ૪ જૂને મતગણતરી થશે ત્યારે આ બેઠકોમાંથી દિલ્હીના સંસદભવનમાં કોણ બિરાજશે એનો ફેંસલો થઈ જશે.
ગડચિરોલી-ચિમુર
પહેલા તબક્કામાં નક્સલગ્રસ્ત આ બેઠકમાં છેલ્લી બે લોકસભાની ચૂંટણીની જેમ બીજી બેઠકોની તુલનાએ વધુ મતદારોએ રસ બતાવ્યો છે. ૨૦૧૪માં અહીં ૭૦.૦૪ ટકા, ૨૦૧૯માં ૭૨.૩૩ ટકા તો આ વખતે ૬૪.૯૫ ટકા મતદાન થયું છે. આ બેઠક પર BJPના અશોક નેતે સામે કૉન્ગ્રેસના ડૉ. નામદેવ કિરસાન વચ્ચે મુખ્ય મુકાબલો હતો.
ADVERTISEMENT
ચંદ્રપુર
આ બેઠકમાં સામાન્ય રીતે સારું મતદાન થાય છે, પણ આ વખતની ચૂંટણીમાં મતદારયાદીમાં નામ ગાયબ થવાની ફરિયાદ જોવા મળી હતી. આથી મોટી સંખ્યામાં મતદારો મત નહોતા આપી શક્યા એટલે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. અહીં માત્ર ૫૫.૧૧ ટકા લોકો જ મત આપવા મતદાન સેન્ટરોમાં પહોંચ્યા હતા. ૨૦૧૪માં અહીં ૬૩.૨૯ ટકા તો ૨૦૧૯માં અહીં ૬૪.૮૯ ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું. અહીં BJPના સુધીર મુનગંટીવાર સામે કૉન્ગ્રેસનાં પ્રતિભા ધાનોરકર વચ્ચે મુખ્ય મુકાબલો હતો.
ભંડારા-ગોંદિયા
આ બેઠકમાં ૫૬.૮૭ ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪માં અહીં ૭૨.૩૧ ટકા અને ૨૦૧૯માં અહીં ૬૮.૮૧ ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું. એની સરખામણીએ આ વખતે ખાસ્સું દસ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. અહીં BJPના સુનીલ મેંઢે સામે કૉન્ગ્રેસના પ્રશાંત પડોલે વચ્ચે મુખ્ય મુકાબલો હતો.
રામટેક
આ બેઠકમાં ૫૨.૩૮ ટકા લોકોએ મતદાન કર્યું હતું. ૨૦૧૪માં અહીં ૬૨.૬૪ ટકા તો ૨૦૧૯માં ૬૨.૦૩ ટકા લોકોએ મત આપ્યા હતા. આથી અહીં પણ દસ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. અહીં એકનાથ શિંદે જૂથની શિવસેનાના રાજુ પારવે સામે કૉન્ગ્રેસના શ્યામકુમાર બર્વે વચ્ચે મુખ્ય મુકાબલો હતો.
નાગપુર
પહેલા તબક્કાની પાંચ બેઠકમાંથી નાગપુરમાં અગાઉની ચૂંટણીઓની જેમ જ આ વખતે પણ ઓછું મતદાન થયું છે. આ વખતની ચૂંટણીમાં અહીં ૪૭.૯૧ ટકા લોકોએ જ મત આપ્યા હતા. ૨૦૧૪માં અહીં ૫૭.૧૨ ટકા તો ૨૦૧૯માં ૫૪.૯૪ ટકા મતદાન થયું હતું. અહીં BJPના નીતિન ગડકરી સામે કૉન્ગ્રેસના વિકાસ ઠાકરે વચ્ચે મુખ્ય મુકાબલો હતો.