Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તમારા ટાવરની ફાયર ફાઇટિંગ સિસ્ટમ શું બરાબર કામ કરે છે?

તમારા ટાવરની ફાયર ફાઇટિંગ સિસ્ટમ શું બરાબર કામ કરે છે?

28 January, 2023 07:00 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ગઈ કાલે દાદરના આરએ રેસિડન્સી બિલ્ડિંગમાં ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ બંધ હોવાથી ૪૨મા માળે લાગેલી આગ આશરે ચાર કલાક પછી કાબૂમાં આવી : આટલી ઊંચી સીડીવાળી ફાયરવૅન ન હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ પાઇપ લઈને ૪૨મા માળ સુધી જવું પડ્યું 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



મુંબઈ : મુંબઈમાં હાઇરાઇઝ બિલ્ડિંગો બની રહ્યાં છે, પરંતુ અવારનવાર આગ જેવી દુર્ઘટના બનતી હોવા છતાં આ ઇમારતોમાં ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ ચાલતાં રહે એના પર સોસાયટીના સભ્યો કે બિલ્ડરો ધ્યાન આપતા નથી. આવાં જ કારણોસર ગુરુવારે રાતના દાદર-ઈસ્ટમાં શારદા ટૉકીઝ સામે આવેલી આરએ રેસિડન્સીમાં ગઈ કાલે ૪૨મા માળે શૉર્ટ સર્કિટને કારણે ફ્લૅટ-નંબર ૪૨૦૧માં લાગેલી આગને નિયંત્રણમાં લેતાં ફાયર બ્રિગેડને સાડાત્રણથી ચાર કલાક થયા હતા. 
આ બાબતની માહિતી આપતાં મુંબઈ ફાયર બ્રિગેડના ચીફ ઑફિસર સંજય માંજરેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાતના ૮.૩૦ વાગ્યાની આસપાસ આરએ રેસિડન્સીના ૪૨૦૧ નંબરના ફ્લૅટમાં આગ લાગી હતી. એ સમયે આ ફ્લૅટનો પરિવાર ફ્લૅટની અંદર જ હતો. આ સોસાયટીની ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને ફાયર અલાર્મ સિસ્ટમ બંને બંધ હોવાથી ફાયર બ્રિગેડને આગને નિયંત્રણમાં લેતાં સાડાત્રણથી ચાર કલાક લાગ્યા હતા.’

આ પણ વાંચો: Mumbaiના આ પાર્કમાંથી હટશે ટીપૂ સુલ્તાનનું નામ, ઉદ્ધવ સરકારના નામકરણથી થયો વિવાદ



મુંબઈનાં હાઈરાઇઝ બિલ્ડિંગોની સુરક્ષા માટે આ બિલ્ડિંગોની ફાયર ફાઇટિંગ સિસ્ટમ કામ કરવી અત્યંત જરૂરી છે એમ જણાવીને સંજય માંજરેકરે કહ્યું હતું કે ‘ગઈ કાલે ૪૨ માળના બિલ્ડિંગમાં આગ લાગ્યા પછી અમારી પાસે આટલી ઊંચી સીડીવાળી કોઈ ફાયરવૅન ન હોવાથી અમારા ફાયર બ્રિગેડના જવાનોએ પાઇપ લઈને ૪૨મા માળ સુધી ચાલીને જવું પડ્યું હતું. અહીં એક વાત બહુ મહત્ત્વની છે કે વિશ્વમાં કોઈ જ દેશ પાસે આટલી ઊંચી સીડીની સુવિધાવાળી ફાયરવૅન નથી. હાઇરાઇઝ ઇમારતોમાં જ્યારે આગ જેવી દુર્ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડ એ ઇમારતમાં રહેલી ફાયર ફાઇટિંગ સિસ્ટમના ભરોસે જ હોય છે જેનાથી આગને નિયંત્રણમાં લેવું સુવિધાજનક હોય છે. જોકે આરએ રેસિડન્સીમાં આ મહત્ત્વની સિસ્ટમ જ બંધ છે. એ કામ કરતી નથી. એને કારણે આગ લેવલ ટૂમાંથી થોડા જ સમયમાં લેવલ ફોરમાં જતી રહી હતી. એટલે કે મામૂલી આગમાંથી આ આગ વિકરાળ બની ગઈ હતી. આવા સમયે જો ફાયર ફાઇટિંગ સિસ્ટમ કામ કરતી હોત તો આગ વિકરાળ બનતાં રોકવામાં ફાયર બ્રિગેડને ઓછો સમય લાગ્યો હોત. અમારી અનેક વાર ચેતવણીઓ આપવા છતાં આજે પણ સોસાયટીના મેમ્બરો અને બિલ્ડરો દુર્લક્ષ સેવીને લોકોના જીવ જોખમમાં મૂકે છે.’
આરએ રેસિડન્સીના રહેવાસીઓ આખા મામલાની બાબતમાં મૌન સેવી રહ્યા છે. આગ કેવી રીતે લાગી, એ પરિવારના સભ્યો કેવી રીતે બચી ગયા આવા બધા જ સવાલોના જવાબ આપવાનું રહેવાસીઓએ ટાળ્યું હતું. જોકે સોસાયટીના એક રહેવાસીએ રહેવાસીઓને પડેલી મુસીબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આગમાં ૪૨૦૧ નંબરનો આખો ફ્લૅટ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આસપાસના કે નીચેના ફ્લૅટને આગને લીધે કોઈ જ અસર થઈ નહોતી, પરંતુ આગ ઓલવવા જતાં લિફ્ટમાં પાણી જવાથી ગઈ કાલે રાત સુધી અમારી લિફ્ટો બંધ થઈ ગઈ હતી. એને કારણે સિનિયર સિટિઝનો, મહિલાઓ અને બાળકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2023 07:00 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK