Sindoor Flyover: આજે બપોરે 3 વાગ્યે ફ્લાયઓવર મોટરચાલકો માટે ખોલવામાં આવશે એમ ફડણવીસે જાહેરાત કરી હતી. જે દક્ષિણ મુંબઈમાં પૂર્વ-પશ્ચિમ કનેક્શન માટે મહત્વપૂર્ણ છે.
સિંદૂર બ્રિજનું ઑપનિંગ કરતાં દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં આવેલા સિંદૂર ફ્લાયઓવર (Sindoor Flyover)નું ઉદ્ઘાટન કર્યું છે. આજે ત્રણ વાગ્યે તે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ નવો ફ્લાયઓવર બ્રિજ ૧૫૦ વર્ષ જૂના કર્ણાક બ્રિજના સ્થાને છે. જેને મધ્ય રેલવે દ્વારા જોખમી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૨૨માં તેને તોડી પાડવામાં આવ્યો હતો. તે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મસ્જિદ બંદર અને મોહમ્મદ અલી રોડ વગેરે વિસ્તારો વચ્ચે મહત્વપૂર્ણ કનેક્ટર તરીકે કામ કરે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈમાં સિંદૂર ફ્લાયઓવર (Sindoor Flyover)નું વિધિવત રીતે ઉદ્ઘાટન કર્યું હતું, જે અગાઉ કર્ણાક બ્રિજ તરીકે ઓળખાતો હતો. ઉદ્ઘાટન પ્રસંગે તેમની સાથે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પણ હાજર રહ્યા હતા. પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પસ પર ભારતના સફળ લશ્કરી હુમલા બાદ કર્ણાક બ્રિજનું નામ બદલીને ઑપરેશન સિંદૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આજે બપોરે 3 વાગ્યે ફ્લાયઓવર મોટરચાલકો માટે ખોલવામાં આવશે એમ ફડણવીસે જાહેરાત કરી હતી. આ બ્રિજ મસ્જિદ બંદર રેલ્વે સ્ટેશન નજીક આવેલો છે અને પી ડી મેલો રોડ સાથે કનેક્ટ થાય છે, જે દક્ષિણ મુંબઈમાં પૂર્વ-પશ્ચિમ કનેક્શન માટે મહત્વપૂર્ણ છે.
"સિંદૂર બ્રિજ (Sindoor Flyover) એક રેલ્વે ઓવરહેડ બ્રિજ છે અને ભીડભાડવાળા વિસ્તારમાં સ્થિત છે. મુશ્કેલી હોવા છતાં બીએમસી દ્વારા સમયમર્યાદામાં સિંદૂર બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે એમ ફડ઼ણવીસે બ્રિજના નવીનીકરણ પાછળના ઇજનેરો અને કામદારોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું.
"ઘણા વર્ષો સુધી, તેને કર્ણાક બ્રિજ તરીકે ઓળખવામાં આવતો હતો, કારણ કે તેનું નામ બ્રિટિશ ગવર્નર જેમ્સ રિવેટ-કર્ણાકના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જો કે, જો આપણે ઇતિહાસમાં ડોકિયું કરીએ તો આપણે જોઈએ છીએ કે તેમણે ભારતીયો સામે અનેક અત્યાચારો કર્યા હતા. આ કાળા ઇતિહાસને આપણે ભૂંસી નાખવાની જરૂર છે. અને આપણા ઇતિહાસમાંથી આવા કાળા પ્રકરણોને ભૂંસી નાખવા માટે જ અમે પુલનું નામ બદલ્યું છે. ઑપરેશન સિંધૂરમાં ભારતીય સેનાની બહાદુરી અસાધારણ રહી હતી. આથી બ્રિજનું નામ ભારતીય સશસ્ત્ર દળોના ઑપરેશન સિંદૂર પરથી રાખવામાં આવ્યું છે."
ફ્લાયઓવર (Sindoor Flyover)ની કુલ લંબાઈ 328 મીટર છે, જેમાં રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના 70 મીટરનો સમાવેશ થાય છે. બાકીના 230 મીટરમાં બીએમસી.ની હદમાં પ્રવેશ માર્ગો છે- પૂર્વ બાજુએ 130 મીટર અને પશ્ચિમ બાજુએ 100 મીટર. આ પુલમાં બે સ્ટીલ ગર્ડર્સ છે, દરેક 70 મીટર લાંબા, 26.5 મીટર પહોળા અને 10.8 મીટર ઊંચા છે. 550 મેટ્રિક ટન વજન સાથેના સિમેન્ટ કોંક્રિટ થાંભલાઓ પર સ્થાપિત છે. ઉપરના માળખામાં આર. સી. સી. ડેક સ્લેબ, ડામર અને સંપૂર્ણ વિકસિત અભિગમ રસ્તાઓનો સમાવેશ થાય છે.
સફળ નિરીક્ષણો બાદ સિંદૂર ફ્લાયઓવર (Sindoor Flyover)ને રેલવે વિભાગ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ સાથે સ્થિરતા અને સલામતી પ્રમાણપત્રો પ્રાપ્ત થયા હતા. બ્રિજ ફરી ખૂલવાથી પૂર્વ-પશ્ચિમ કનેક્શનમાં હવે વાંધો નહીં આવે. પી ડી મેલો રોડ પર, ખાસ કરીને વાલચંદ હીરાચંદ રોડ અને શહીદ ભગતસિંહ રોડ જંક્શન પર ટ્રાફિક જૅમ હળવો થવાની અપેક્ષા છે. યુસુફ મેહરાલી રોડ, મોહમ્મદ અલી રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ અને કાઝી સૈયદ સ્ટ્રીટ જેવા નજીકના રસ્તાઓ પર વાહનવ્યવહારમાં પણ સુધારો થશે. આ બ્રિજ દક્ષિણ મુંબઈના બંદર વિસ્તારો અને ક્રોફર્ડ માર્કેટ, કાલબાદેવી અને ધોબી તળાવ સહિતના વ્યાપારી વિસ્તારો વચ્ચેનું મહત્વનું કનેક્શન છે.

