એમએનએસના કાર્યકરોને કાનૂની જાળમાં ફસાવવાના પ્રયાસની શંકા જતાં રાજ ઠાકરેએ મુલાકાત રદ કર્યા બાદ પક્ષના નેતાઓએ આ મુલાકાતનો વિરોધ કરી રહેલા બ્રિજભૂષણ સિંહની સાથેના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સર્વેસર્વાનો ફોટો કરી દીધો રિલીઝ
એમએનએસના નેતાઓએ ટ્વીટ કરેલો બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ સાથે શરદ પવાર અને સુપ્રિયા સુળેનો ફોટો.
મુંબઈ ઃ અયોધ્યા મુલાકાતનો વિરોધનો સૂર મહારાષ્ટ્રમાંથી જ ઊઠ્યો હોવાનું એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ તાજેતરમાં આયોજિત પુણેની સભામાં કહ્યું હતું. એ પછી એમએનએસના નેતા પ્રકાશ મહાજને એમએનએસના કાર્યકરોને અયોધ્યામાં અટકાવવાનું કાવતરું શરદ પવારે રચ્યું હોવાનો આરોપ કર્યો હતો. હવે એમએનએસના બે નેતાઓએ રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતનો વિરોધ કરી રહેલા બીજેપીના ઉત્તર પ્રદેશના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ સાથે શરદ પવાર અને સુપ્રિયા સુળેના ફોટો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં શૅર કરીને દાવો કર્યો હતો કે અયોધ્યા ટ્રૅપની પાછળ શરદ પવારનો જ હાથ છે.
એમએનએસના નેતા સચિન મોરેએ ગઈ કાલે એક ટ્વીટ કરી હતી, જેમાં તેણે બીજેપીના ઉત્તર પ્રદેશના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ તથા શરદ પવાર અને સુપ્રિયા સુળે સાથેના કેટલાક ફોટો શૅર કર્યા હતા. ફોટોની લાઇનમાં તેણે લખ્યું હતું કે ‘કેટલાક ફોટો સારા હોય છે... અને સાચા પણ હોય છે.’
એમએનએસના અન્ય નેતા અને પ્રવક્તા ગજાનન કાળેએ પણ ગઈ કાલે એક ટ્વીટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે ‘બ્રિજના નિર્માતા... વધુ કહેવાની જરૂર નથી (ફોટો ઝૂમ કરીને જુઓ).
ગજાનન કાળેએ આ વિશે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતનો વિરોધ કરવા પાછળ શરદ પવારનો હાથ હતો એમ કહેવું બ્રિજભૂષણ સિંહ સાથે તેમના ફોટો જોઈને અયોગ્ય નથી. આ ફોટો ૨૦૧૮માં માવળમાં આયોજિત એક કાર્યક્રમના છે.’
એમએનએસના નેતાઓ દ્વારા શરદ પવાર અને સુપ્રિયા સુળે સાથેના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરાયા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહે કહ્યું હતું કે ‘હા, મારા શરદ પવાર સાથે સંબંધ છે. મહારાષ્ટ્ર કુસ્તી સંઘ માટે તેમણે મોટું કામ કર્યું છે. અમે કુસ્તી માટે જે કામ કરતા હતા એની શરદ પવાર પ્રશંસા કરતા. ત્રણ દિવસ સુધી તેમના કાર્યકરો જે માળા શરદ પવાર માટે લાવતા હતા એ મારા ગળામાં પહેરાવાતી હતી એનો મને ગર્વ છે. આજે પણ શરદ પવાર મારી સામે આવે તો તેમને નમસ્કાર કરીશ. તેઓ મારા માટે એક સારા નેતા છે. રાજ ઠાકરેએ તેમની પાસેથી શીખવું જોઈએ.’