પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે વીઆઇપીઓએ ન જવું જોઈએ એવા શરદ પવારના સૂચન પર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને આપ્યો જવાબ
અમારી મુલાકાતથી પ્રશાસન પર કામ કરવાનું દબાણ બને છે : દેવેન્દ્ર ફડણવીસ
મિડ-ડે પ્રતિનિધિ
feedbackgmd@mid-day.com
મુંબઈ : એનસીપીના ચીફ શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘વરસાદને લીધે અસર પામેલા વિસ્તારોમાં વીઆઇપીઓએ ન જવું જોઈએ. આમ કરવાથી અહીં ચાલી રહેલા બચાવ અને રાહતકામને અસર પહોંચી રહી હોવાથી સૌએ આ બાબતે વિચારવું જોઈએ.’
પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના અનુભવ પરથી શરદ પવારે કહ્યું હતું કે ‘પૂરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પાલક પ્રધાન સિવાય કોઈ પણ વીઆઇપીએ ન જવું જોઈએ. જેમનો બચાવ અને રાહતકામ સાથે કોઈ સીધો સંબંધ ન હોય એવા લોકોની મુલાકાતથી સ્થાનિક પ્રશાસન પર પ્રેશર આવે છે. આથી અહીં ચાલી રહેલા બચાવ અને રાહતકામને અસર પહોંચે છે. સામાન્ય રીતે આવી ઘટના વખતે હું મુલાકાત લઉં છું, પરંતુ આ વખતે રાજ્યની મશીનરીના કામમાં કોઈ અડચણ ન આવે એ માટે મેં મુલાકાત લેવાનું ટાળ્યું છે.’
સોમવારે મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ વિધાનસભામાં સસ્પેન્ડ કરાયેલા બીજેપીના વિધાનસભ્ય આશિષ શેલાર સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિશે શરદ પવારે કહ્યું હતું કે ‘જો રાજ્યપાલને આશિષ શેલાર પર વધારે વિશ્વાસ હોય તો તેઓ આમ કરે એમાં કંઈ ખોટું નથી. તેમનું પદ કેન્દ્ર સરકારમાંથી રાજ્ય માટે વધારે ભંડોળ લાવવા માટે મહત્ત્વનું છે.
એ પહેલાં શિવસેનાના મુખ્ય પ્રવક્ત્તા સંજય રાઉત્તે ગવર્નરની પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતના સંદર્ભમાં તેમનું નામ લીધા વગર કહ્યું હતું કે આવી ગંભીર પરિસ્થિતિ વખતે પૉલિટિકલ ટૂરિઝમ કરવાનું લોકોએ ટાળવું જોઈએ.
જોકે, શરદ પવારના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીઆઇપીના ન જવા બાબતે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પવારસાહેબનું કહેવું એટલું જ છે કે જે પણ લોકો પૂરગ્રસ્ત વિસ્તારમાં જાય છે ત્યાં પ્રશાસન પર તેમની ટૂરને લઈને પ્રેશર આવતું હોય છે અને એને લીધે રાહતના કામમાં મોડું થાય છે. જ્યાં સુધી મારી મુલાકાતનો સવાલ છે તો અમારી મુલાકાત વખતે પ્રશાસનમાંથી કોઈ હાજર ન રહેતું હોવાથી એની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. અમારી વિઝિટને લીધે પ્રશાસન પર કામ કરવાનું પ્રેશર બને છે અને અમને પણ સ્થાનિકો પાસેથી તેમની જરૂરિયાતોની ખબર પડે છે જે અમે સરકારની સમક્ષ મૂકી શકીએ છીએ.’
શરદ પવારે અતિ ભારે વરસાદ અને પૂરના અસરગ્રસ્ત થયેલા રાજ્યના સોળ જિલ્લાના ૧૬ હજાર પરિવારને બ્લૅન્કેટ કિટ આપવાની જાહેરાત કરી હતી. પક્ષ દ્વારા આ પરિવારોને ખાવાની વસ્તુઓ પણ વિતરીત કરાશે. આ વિશે તેમણે કહ્યું હતું કે ‘મળેલી માહિતી મુજબ રત્નાગિરિ અને રાયગડ જિલ્લાના પાંચ-પાંચ હજાર પરિવારો, કોલ્હાપુર અને સાંગલીના બે-બે હજાર પરિવારો, સાતારાના એક હજાર પરિવારો અને સિંધુદુર્ગના ૫૦૦ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિવારોને કિચનની વસ્તુઓ, બ્લૅન્કેટ અને ફેસ-માસ્ક સહિતની કિટ વિતરીત કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે અંદાજે ૨.૫૦ કરોડ રૂપિયા ખર્ચ થશે.’
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે થયેલા અતિ ભારે વરસાદને લીધે અનેક જિલ્લામાં મોટા પાયે નુકસાન થવાની સાથે ૧૯૨ લોકોનાં મૃત્યુ થયાં છે. સોમવારે રાયગડ જિલ્લામાં જમીન કે ડુંગર ધસી પડવાથી ગામવાસીઓ દબાઈ ગયા હતા એમાંના ૨૮ મૃતદેહ બહાર કઢાયા હતા. અત્યાર સુધી ૨,૨૯,૦૭૪ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઉદ્ધવ ઠાકરેના દેશના નેતૃત્વ વિશે શું કહ્યું?
શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે અને તેઓ દેશને નેતૃત્વ આપી શકશે. આ બાબતે પત્રકારોએ સવાલ કરતાં શરદ પવારે કહ્યું હતું કે ‘અમને આનંદ છે. મહારાષ્ટ્રની કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરવા માટે આગળ આવતી હોય અને તેમને લોકોનું સમર્થન મળતું હોય તો અમને આનંદ છે.’
મૃતકોના પરિવારજનોને રાજ્ય પાંચ લાખ તો કેન્દ્ર સરકાર બે લાખ આપશે મહાપૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર પાંચ લાખ અને કેન્દ્ર સરકાર બે લાખ રૂપિયાની મદદ કરશે એમ ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જાહેર કર્યું હતું. મૃત ખેડૂતનું નામ સાત બારમાં સામેલ હશે તો તેના પરિવારજનોને ગોપીનાથ મુંડેના નામે ચાલી રહી રહેલી યોજનામાંથી વધુ બે લાખ રૂપિયા આપવામાં આવશે. ગઈ કાલે કોલ્હાપુરમાં પૂરની પરિસ્થિતિની માહિતી લીધા બાદ તેમણે આવું કહ્યું હતું.