ટૂંક સમયમાં પશ્ચિમ રેલવેમાં એસી લોકલની વધુ 8 સર્વિસ
મુંબઈ એસી લોકલ ટ્રેન
એસી લોકલમાં પ્રવાસ કરવાની પ્રતીક્ષા કરનારા મુંબઈગરાને ટૂંક સમયમાં આનંદના સમાચાર મળશે. પશ્ચિમ રેલવેએ એસી લોકલની વધુ આઠ સર્વિસ દોડાવવાનો નિર્ણય લીધો છે, જે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. એસી લોકલ સંબંધે પશ્ચિમ રેલવેએ તૈયાર કરેલા પ્રાથમિક અહેવાલ મુજબ વધારાની આઠ લોકલમાંથી સવારે અને સાંજે પીક અવર્સમાં એક લોકલ દોડાવાશે, જ્યારે કે બાકીની છ લોકલ બપોરના સમયે દોડાવવામાં આવશે. આવતાં બે અઠવાડિયાંમાં ચર્ચગેટથી વિરાર વચ્ચે એસી લોકલની સર્વિસ વધારવાનો પ્રસ્તાવ મંજૂરી માટે મોકલવામાં આવશે.
શરૂમાં બાંદરાથી ચર્ચગેટ વચ્ચે એસી લોકલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ટેક્નિકલ કારણોસર અમલમાં મૂકી શકાયો નહોતો. અંધેરીમાં પ્રવાસીઓનો ધસારો વધુ હોઈ ચર્ચગેટ-વિરારના બદલે અંધેરી-વિરાર વચ્ચે ટ્રેનો વધારવાની માગણી પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે.