બાંદરાની સભામાં શિવસેનાપ્રમુખે એમએનએસના અધ્યક્ષને ગંભીરતાથી ન લેવાનું કહ્યા બાદ તેમની પાર્ટીનાં મહિલા નેતાએ કર્યો વળતો પ્રહાર
એમએનએસનાં નેતા શાલિની ઠાકરેએ ટ્વીટ કરેલો ફોટો
મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે બીકેસીમાં આયોજિત સભામાં એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેની ટીકા કરી હતી. મુખ્ય પ્રધાને રાજ ઠાકરેનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘એક વ્યક્તિ પોતે બાળાસાહેબ ઠાકરે હોય એવા ભ્રમમાં જીવે છે. તેને ‘મુન્નાભાઈ...’ ફિલ્મમાં હીરોને ગાંધીજી દેખાય છે એવી રીતે બાળાસાહેબ દેખાય છે. તેના મગજમાં કેમિકલ લોચો છે. તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી.’ એમએનએસનાં નેતા શાલિની ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાં ગઈ કાલે ટ્વીટ દ્વારા કહ્યું હતું કે રાજ ઠાકરે મુન્નાભાઈ હોવાનું કહેનારા ઉદ્ધવ ઠાકરે કલાનગરના સર્કિટ છે.
શનિવારે બાંદરાના બીકેસી ખાતેના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આયોજિત શિવસેનાની જાહેર સભામાં મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેનું નામ લીધા વિના નિશાન બનાવ્યા હતા. એમએનએસનાં મહિલા અધ્યક્ષ શાલિની ઠાકરેએ ગઈ કાલે ટ્વીટમાં એક પોસ્ટ મૂકી હતી, જેમાં રાજ ઠાકરેના અડધા ચહેરા પર બાળાસાહેબનો ફોટો મૂક્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘ક્યારેક બાળાસાહેબ દેખાય છે, ક્યારેક ભગવા રંગની શાલ ફરે છે એવું કહેનારાને આ ફોટો ઘણું કહી જાય છે. માત્ર કલાનગરના સર્કિટને એ દેખાતું નથી.’