જ્યારે ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ‘જલયુક્ત શિવાર અભિયાન ૨૦૧૪’ શરૂ કર્યું હતું
ફાઇલ તસવીર
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વાકાંક્ષી જળ સંરક્ષણ પ્રોજેક્ટ ‘જલયુક્ત શિવાર’નો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે.
જ્યારે ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે નદીઓને ઊંડી અને પહોળી કરવા, સિમેન્ટ અને માટીના ડૅમ બનાવવા, ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધારવા માટે નાળાં પુનઃ સ્થાપિત કરવા તથા તળાવ ખોદવા માટે ‘જલયુક્ત શિવાર અભિયાન ૨૦૧૪’ શરૂ કર્યું હતું. એનો ઉદ્દેશ દર વર્ષે ૫૦૦૦ ગામમાં પાણીની ઘટ દૂર કરવાનો હતો. જોકે ૨૦૧૯ના અંતમાં મહા વિકાસ અઘાડી સરકારે સત્તા સંભાળી એ પછી એ પક્ષપાતના આરોપમાં રહી ગયું હતું.’
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ૫૦ ટકા વરસાદ પડતો હોવાથી જળ સંરક્ષણ સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી એ આપણે જાણીએ છીએ. અમે આ યોજના સાથે ૨૦,૦૦૦ ગામમાં પાણીનું સંરક્ષણ કરવામાં સફળ રહ્યા. લગભગ ૩૭ લાખ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવી, જેનાથી ખેડુતોને એક વર્ષમાં બે પાકની ખેતી કરવામાં મદદ મળી. અમુક હવામાન મૉડલ અલ નીનો ઇફેક્ટની આગાહી કરી રહ્યાં છે, એ માટે પણ મોટા પાયે જળ સંરક્ષણ જરૂર પડી શકે છે.’