હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયાએ કરી રાજ્ય સરકાર સમક્ષ માગણી
ફાઈલ તસવીર
હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા (એચઆરએડબ્લ્યુઆઇ)એ મહારાષ્ટ્ર સરકારને રાજ્યની રેસ્ટોરાં તથા હોટેલ્સ રાતના ૧૦ને બદલે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપવાની વિનંતી કરતાં જણાવ્યું છે કે વ્યવસાયોએ કાર્યો પુનઃ શરૂ કરવા માટે ભારે જહેમત ઉઠાવી છે અને કોરોનાની નવી લહેર સરકારની સહાય વિના હૉસ્પિટાલિટી ઉદ્યોગની કમર તોડી નાખશે.
આશરે ૧૫ મહિનાની મર્યાદિત કામગીરી બાદ હોટેલ્સ અને રેસ્ટોરાંએ સામાન્ય સ્થિતિ તરફ વળવાનું શરૂ કર્યું હતું. સળંગ બે લૉકડાઉન બાદ આ સાહસોએ પુનઃ બેઠા થવા માટે સારી એવી મૂડીનું રોકાણ કર્યું છે, એમ એચઆરએડબ્લ્યુઆઇના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું.
હાલમાં આ ક્ષેત્ર ઉચાટ અને ભયનો સામનો કરી રહ્યું છે. કોરોનાની નવી લહેર હૉસ્પિટાલિટી ઉદ્યોગને ભારે ફટકો પહોંચાડશે. અમે રાજ્ય સરકારને રાતના ૧૧ વાગ્યા સુધી કામગીરી ચાલુ રાખવાની છૂટ આપવાની વિનંતી કરીએ છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોરોનાની નવી માર્ગદર્શિકા મુજબ, રાજ્ય સરકારે મૉલ્સ અને રેસ્ટોરાંને રાત્રે ૧૦થી સવારના ૮ વાગ્યા સુધી બંધ રાખવાનો હુકમ કર્યો છે. વળી, મુલાકાતીઓએ રસીના બંને ડોઝ લીધા હોવા જરૂરી છે. આ એકમોને ૫૦ ટકા ક્ષમતા પર કામ કરવાની છૂટ અપાઈ છે.