Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે કરોડ રૂપિયાનાં કપડાં, ૧ કરોડ રૂપિયાનું ફર્નિચર

બે કરોડ રૂપિયાનાં કપડાં, ૧ કરોડ રૂપિયાનું ફર્નિચર

Published : 21 April, 2026 07:16 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

થાણેના નૌપાડામાં પ્રાચી ફૅશન સ્ટોર્સ નામની દુકાનમાં લાગેલી આગમાં કચ્છી વેપારીને આટલો ફટકો પડ્યો : આગ CCTV કૅમેરાના વાયરને લીધે અથવા ઉંદરને લીધે લાગી હોવાની આશંકા

ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરનો પ્રાચી ફૅશન સ્ટોર્સ આગમાં ખાખ થઈ ગયો.

ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરનો પ્રાચી ફૅશન સ્ટોર્સ આગમાં ખાખ થઈ ગયો.


થાણેના નૌપાડા વિસ્તારમાં પૅરૅડાઇઝ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પ્રાચી ફૅશન સ્ટોર્સમાં ગઈ કાલે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. એને કારણે આશરે ૩ કરોડ રૂપિયાનાં કપડાં અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયાં હતાં. થાણેમાં બ્રાઇડલ કપડાં માટે જાણીતો ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટ્રક્ચરવાળો પ્રાચી ફૅશન સ્ટોર્સ છેલ્લાં ૩૦ વર્ષથી કચ્છી વેપારી દ્વારા સંચાલિત હતો. આગ લાગવાના મુખ્ય કારણની પોલીસ અને ફાયર-બ્રિગેડ દ્વારા વિશેષ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં 
આવી છે.

પ્રાચી ફૅશન સ્ટોર્સના માલિક ચેતન બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ અમે દુકાન વધાવીને ઘરે ગયા હતા. ગઈ કાલે સવારે લગભગ પાંચ વાગ્યે સોસાયટીના વૉચમૅનનો ફોન આવ્યો કે દુકાનની અંદરથી ધુમાડો નીકળી રહ્યો છે. આ જાણ થતાં જ તાત્કાલિક અમે દુકાન પર પહોંચ્યા અને શટર ખોલીને અંદર જોયું ત્યારે આગ ખૂબ જ ફેલાઈ ગઈ હતી. થોડા જ સમયમાં ફાયર-બ્રિગેડની ૮ ગાડીઓ સાથે આવેલા અધિકારીઓએ સતત પાંચ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ મારો અંદાજ છે કે CCTV કૅમેરા માટે ચાલુ રાખેલા વાયરમાં શૉર્ટ સર્કિટ થયું હશે અથવા ઉંદરને કારણે પણ શૉર્ટ સર્કિટ થયો હોઈ શકે છે.’



ચેતન બોરીચાની આશરે ૨૫૦૦ સ્ક્વેરફુટ કાર્પેટ એરિયામાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટ્રક્ચરની દુકાન છેલ્લાં ૩૦ વર્ષથી હેવી બ્રાઇડલ કપડાં માટે જાણીતી હતી. આ અચાનક લાગેલી આગમાં લગભગ બે કરોડ રૂપિયાનાં કપડાં અને એક કરોડ રૂપિયાથી વધુનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયાં હતાં.


થાણેના ફાયર-ઑફિસર ઓમકાર વૈતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અમારા અધિકારીઓ સાથે TMCના ડિઝૅસ્ટર વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ઉપરાંત MSEDCLના અધિકારીઓને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. આગને કારણે દુકાનમાં રહેલો તમામ માલસામાન સંપૂર્ણપણે બળી ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી અને એની તપાસ ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 07:16 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK