નાની હૉસ્પિટલો ખૂલી હોવા છતાં દરદીઓને આઇસીયુ બેડ મળવા મુશ્કેલ
કુર્લામાં આયોજિત કોરોના ચકાસણી કૅમ્પ. તસવીર : સઇદ સમીર અબેદી
શહેરમાં કોવિડ-19ના કેસ વધવાનું યથાવત્ છે ત્યારે આઇસીયુ બેડ પૂરતા પ્રમાણમાં ન હોવાથી દરદીઓએ આઇસીયુ બેડ મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. નાના કદની ૨૭ ખાનગી હૉસ્પિટલોને ૧૫ સપ્ટેમ્બરથી કોવિડ-19ના દરદીઓને દાખલ કરવાની પરવાનગી આપવામાં આવી હોવા છતાં કૉર્પોરેટરો અને સોશ્યલ વર્કર્સને આઇસીયુ બેડની પ્રાપ્યતા સુધારવા માટે હજી વધુ સંખ્યામાં હૉસ્પિટલોને સાંકળવાની જરૂરિયાત વર્તાઈ રહી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના જણાવ્યા પ્રમાણે ૧૬ સપ્ટેમ્બરની બપોર સુધી ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં ૧૫૩ આઇસીયુ બેડ અને ૬૩ વૅન્ટિલેટર્સ ઉપલબ્ધ હતા. જોકે કેટલાક કૉર્પોરેટર્સે જણાવ્યું હતું કે ગંભીર લક્ષણો ધરાવતા દરદીઓ ખાનગી હૉસ્પિટલોને પ્રાથમિકતા આપે છે, પણ ત્યાં તેમને લેવામાં આવતા નથી. બીજેપીના કૉર્પોરેટર વિનોદ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘તેમના વૉર્ડમાં ૫૦ કરતાં વધુ આઇસીયુ બેડ ધરાવતી અન્ય પાંચ હૉસ્પિટલો છે, જેમને પણ ખુલ્લી મૂકવી જોઈએ. આ હૉસ્પિટલો સ્પેશ્યલિસ્ટ્સ, વૅન્ટિલેટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવવાના તમામ માપદંડો સંતોષે છે. કેસની સંખ્યા વધી છે, એવા સમયે મનપાએ અન્ય હૉસ્પિટલો પણ ખુલ્લી મૂકવી જોઈએ, જેથી લોકોએ બેડ શોધવા માટે અહીં-તહીં ભટકવું ન પડે.’