તહેવારોમાં આતંકવાદી હુમલાની શક્યતાથી ડ્રોન પર પ્રતિબંધ મુકાયો
પ્રતીકાત્મક તસવીર
તહેવારોની સીઝનમાં મુંબઈ પર આતંકી હુમલો થઈ શકે એવી આશંકા હોવાથી મુંબઈ પોલીસે ૩૦ દિવસ માટે મુંબઈના આકાશમાં ડ્રોન અને તેની જેવા રિમોટથી ચાલતા લાઇટ ઍરક્રાફ્ટ ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સુરક્ષાની દૃષ્ટ્રિએ આ ઓર્ડર ક્રિમિનલ કોડની કલમ ૧૪૪ હેઠળ સોમવારે ઇશ્યુ કરાયો હતો. આ ઓર્ડર અનુસાર ડ્રોન અને રિમોટથી ઓપરેટ કરાતા લાઇટ ઍરક્રાફ્ટ ૩૦ ઑક્ટોબરથી ૨૮ નવેમ્બર સુધી નહીં ઉડાડી શકાય. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ બાબતે ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. આ એક રુટિન ઓર્ડર છે. જ્યારે કે ઓલરેડી ૧૪૪ અમલમાં છે જ, તેની માર્યાદામાં હાલ આ વધારો કરાયો છે.
આવતા મહિને દિવાળી છે અને સાથે જ ૨૬/૧૧ના આતંકી હુમલાની તારીખ પણ ત્યારે જ આવે છે. ઓર્ડરમાં કહેવાયું છે કે આતંકવાદીઓ દ્વારા વીવીઆઇપીઓ અને જાહેર જનતા પર હુમલો કરી ખાનાખરાબી સર્જવા અને કાયદો અને સુવ્યવસ્થા ખોરવી નાખવા કદાચ ડ્રોનનો ઉપયોગ થઈ શકે એથી તેના ઉડાડવા પર બંધી મૂકી દેવાઈ છે. એ ખાનાખરાબી રોકવા આ પ્રતિબંધ જરૂરી છે.