હાઉસિંગ સોસાયટીઓએ પણ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી
ડોમ્બિવલીના અનેક વિસ્તારોમાં ગઈ કાલે બંધ પાળવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં તમામ રાજકીય પક્ષો અને વેપારીઓ દ્વારા ગુરુવારે સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેનો જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો હતો. શ્રીનગરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સંજય લેલે, હેમંત જોશી અને અતુલ મોને આ ત્રણ સ્થાનિક રહેવાસીનાં મૃત્યુ થયાં હતાં. ગઈ કાલે ડોમ્બિવલી-ઈસ્ટ અને વેસ્ટ બન્ને વિસ્તારમાં તમામ રાજકીય પક્ષો અને વેપારી સંગઠનોના નેતૃત્વમાં તમામ દુકાનો અને ઑફિસો બંધ રહી હતી. ફક્ત હૉસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહી હતી.
ત્રણેય પીડિતોના મૃતદેહ બુધવારે કાશ્મીરથી ડોમ્બિવલી લાવવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર એ જ દિવસે મોડી રાત્રે કરવામાં આવ્યા હતા. એમાં હજારો લોકો હાજર હતા. આ ઘટના પછી રાજકીય પક્ષો અને સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ અને શોકમાં શહેર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

