આવો આરોપ મૂકીને દિશા સાલિયન કેસમાં તેના પિતા સતીશ સાલિયને CBIમાં તેમનું સ્ટેટમેન્ટ નોંધાવ્યું
સતીશ સાલિયન, દિશા સાલિયન
દિશા સાલિયનનાં મૃત્યુના સંદર્ભમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે તેના પિતા સતીશ સાલિયન શુક્રવારે તેમના વકીલ નીલેશ ઓઝા સાથે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ઑફિસ પહોંચ્યા હતા. નીલેશ ઓઝાએ દાવો કર્યો હતો કે દિશા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. સતીશ સાલિયને તેમના નિવેદનમાં એવા લોકોનાં નામ આપ્યાં હતાં જેઓ કથિત રીતે આમાં સામેલ હોવાનો તેમણે દાવો કર્યો હતો. સતીશ સાલિયન અને નીલેશ ઓઝા બપોરે લગભગ બે વાગ્યે CBI ઑફિસ પહોંચ્યા હતા અને નિવેદન નોંધવાની પ્રક્રિયા સાંજે લગભગ ૬.૩૦ વાગ્યે પૂર્ણ થઈ હતી.
મીડિયા સાથે વાત કરતાં દિશાના પિતા સતીશ સાલિયને કહ્યું હતું કે ‘અમારે જે પણ ફરિયાદ કરવાની હતી અે CBIને કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તમને બધાને વિગતો જાણવા મળશે. જે લોકોની આ કેસમાં ભૂમિકા હતી તેમની વિગતો એજન્સીને આપવામાં આવી છે.’
