ઉલ્લેખનીય છે કે નાશિક લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦ મેએ મતદાન થશે
છગન ભુજબળ
ઉમેદવારીની જાહેરાત ન થઈ હોવા છતાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારના કૅબિનેટ પ્રધાન છગન ભુજબળે નાશિક લોકસભાની બેઠક લડવાની તૈયારી કરીને પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. જોકે ગઈ કાલે તેમણે અચાનક જાહેર કર્યું હતું કે તેઓ આ બેઠક પરનો દાવો છોડી રહ્યા છે. પ્રેસ-કૉન્ફરન્સમાં છગન ભુજબળે કહ્યું હતું કે ‘હોળીમાં આ બેઠક લડવા માટે મને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું એટલે મેં તૈયારી અને પ્રચાર શરૂ કર્યાં હતાં. હોળીને ત્રણ અઠવાડિયાં થઈ ગયાં છે. NCP વતી મને જ ઉમેદવારી આપવામાં આવી હોવા છતાં ફરી એના પર ચર્ચા શરૂ થઈ છે. આ મને નથી સમજાતું. મહા વિકાસ આઘાડીએ એમના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને તેઓ પ્રચાર કરવા પણ લાગ્યા છે. આને ધ્યાનમાં રાખીને મહાયુતિએ પણ નાશિકની બેઠકનો નિર્ણય કરી લેવાની જરૂર હતી. શા માટે વિલંબ થઈ રહ્યો છે એ વિશે મારે કંઈ કહેવું નથી. આ બેઠક બાબતની અટકળોનો અંત આવે એ માટે મેં ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.’
ઉલ્લેખનીય છે કે નાશિક લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦ મેએ મતદાન થશે. ૨૬ એપ્રિલથી અહીં ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે અને ૬ મે સુધી નામ પાછાં ખેંચી શકાશે.