ફોન-ટૅપિંગના કેસ:તપાસ સમિતિની જાહેરાત બાદ ૧૦ દિવસ પછી પણ તપાસ નથી થઈ
ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપીના નેતાઓના ફોન ટૅપ કરાયાના બહુચર્ચિત વિવાદમાં રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ૩ સભ્યોની સમિતિ બનાવી એની તપાસ સોંપ્યાની જાહેરતા કર્યાના ૧૦ દિવસ બાદ પણ એ સમિતિને તપાસ શરૂ કરવાના ઑર્ડર અપાયા ન હોવાથી તપાસ થરૂ થઈ શકી નથી. એવું જાણવા મળ્યું છે કે આ કેસમાં રાજકીય નેતાઓ અને ઍડ્મિનિસ્ટ્રેશન-પોલીસ વચ્ચે મતભેદ થતાં એની તપાસ ચાલુ થવામાં જ મોડું થઈ રહ્યું છે.
આ બાબતે એક સિનિયર બ્યુરોક્રૅટ્સે કહ્યું છે કે પ્રધાન દ્વારા જ્યારે તપાસ સમિતિ નિમાઈ ગઈ અને તપાસના આદેશ અપાઈ ગયા ત્યારે ઍડ્મિનિસ્ટ્રેશન કે પછી પોલીસ એ તપાસને રોકી કઈ રીતે શકે? એક વાર સમિતિના સભ્યોનાં નામ જાહેર થઈ ગયાં અને તેમને તપાસ કરી અહેવાલ આપવાની ડેડલાઇન પણ આપી દેવાઈ હોય ત્યારે તેમણે તપાસ ચાલુ કરી દેવી જોઈએ.