બ્લુ લાઇટ આૅન, હવે ટ્રેન ચાલુ થશે
મુંબઈની લોકલ ટ્રેન ચાલુ થવાની તૈયારીમાં હોય એ વખતે ઉતારુઓને એની સૂચના આપતી બ્લુ લાઇટ પ્રકાશિત થાય એવી સુરક્ષા યંત્રણા વિકસાવવાની વિચારણા ચાલી રહી છે. આ બ્લુ લાઇટનો પ્રકાશ પ્લૅટફૉર્મ પર પણ પડશે, જે આ પ્રકાશમય લાઇનથી આગળ વધવું ઉતારુઓ માટે જોખમી હોવાનું સૂચન કરતાં ઍક્સિડન્ટની સંભાવના ઘટાડી શકાશે.
ગિરદીને કારણે ટ્રેનમાંથી પડતા ઉતારુઓને બચાવવાની લડતના ભાગરૂપે રેલવેએ આ અગાઉ બંધ દરવાજાવાળી ટ્રેનનો વિકલ્પ અપનાવ્યો હતો. હવે એક ડગલું આગળ વધીને દરવાજો ખુલ્લો હોય ત્યારે સેફ્ટી લાઇટ્સ વિકસાવી છે. જાન્યુઆરી ૨૦૧૯માં સેન્ટ્રલ રેલવેએ દરવાજા પર બ્લુ લાઇટ ઇન્ડિકેટરવાળી એની પ્રથમ લોકલ ટ્રેન શરૂ કરી હતી જેનાથી મુસાફરો જ નહીં, રેલવેપ્રધાન પીયૂષ ગોયલ પણ પ્રભાવિત થયા હતા.
તમામ ટ્રેનોમાં બ્લુ લાઇટ ઇન્ડિકેટર બેસાડવા માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. કુર્લા કારશેડમાં રેલવેની સહાયક કંપની રિસર્ચ, ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને ટેક્નિકલ સ્પેસિફિકેશન પર વિચારણા કરવામાં આવી રહી છે. ટેક્નિકલ સ્પેસિફિકેશન સુનિશ્ચિત થતાં જ યોજનાને આગળ વધારાશે એમ જણાવતાં સેન્ટ્રલ રેલવેના પીઆરઓ શિવાજી સુતારે વધુમાં ઉમેર્યું હતું કે પશ્ચિમ રેલવેએ પણ આવી વધુ ૧૦૦ ટ્રેનો તૈયાર કરવા માટે પરવાનગી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ઍરકન્ડિશન્ડ ટ્રેનોમાં આ સિસ્ટમ એના ઉત્પાદક ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી દ્વારા પૂરી પાડવામાં આવે છે.