માત્ર એક રૂપિયાની ટોકન ફી લઈને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ આપવાની પાટીદાર મહિલા અધિવેશનમાં કરાઈ ઘોષણા
ઉમિયા માતાજી પરિવાર મહિલા સંગઠનના ચૅરપર્સન ડૉ. જાગૃતિ પટેલે અધિવેશનમાં ઉપસ્થિત સૌને શપથ લેવડાવ્યા હતા.
અમદાવાદમાં આવેલા સોલા ઉમિયા કૅમ્પસમાં ગઈ કાલે મહિલા મહાઅધિવેશન યોજાયું હતું જેમાં પાટીદાર મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં ઊમટી હતી. આ અધિવેશનમાં ઉપસ્થિત રહેલા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના માનદ મંત્રી દિલીપ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ ચાલે છે. જે પાટીદાર દીકરીઓ અહીં આઇએએસ, આઇપીએસ, યુપીએસસી, જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા આવે છે તેઓની પાસેથી માત્ર એક રૂપિયો ટોકન ફી લેવામાં આવશે અને તેમને તાલીમ આપી તૈયાર કરવામાં આવશે.’
ઉમિયા માતાજી પરિવાર મહિલા સંગઠનના ચૅરપર્સન ડૉ. જાગૃતિ પટેલે મહિલા મહાઅધિવેશનમાં ઉપસ્થિત બહેનો સહિત સૌકોઈને સમાજમાંથી કુરીવાજ દૂર કરવા, વિધવા બહેનોને માન-સન્માન આપવા અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા, દૂષણો દૂર કરવા, ખોટા ખર્ચાઓથી બચવા માટે શપથ લેવડાવ્યા હતા.