જ્યમાં ૨૫,૦૦૦ જેટલાં મતદાનમથકોથી વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં સિનિયર સિટિઝન્સ પણ મતદાન કરવા મતદાનમથકે ઊમટ્યા હતા. તસવીર: જનક પટેલ.
ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો માટે ગઈ કાલે સરેરાશ ૫૭.૮૨ ટકા તથા વિધાનસભાની ૫ બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ ૫૬.૫૬ ટકા મતદાન થયું હતું. ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી લડતા કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, પરષોત્તમ રૂપાલા, ડૉ. મનસુખ માંડવિયા અને દેવુ સિંહ ચૌહાણ સહિત કુલ ૨૬૬ ઉમેદાવરોનાં ભાવિ EVMમાં સીલ થયાં છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં ગઈ કાલે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી થઈ છે. ગુજરાતની પચીસ લોકસભા બેઠકોનાં ૪૯,૧૪૦ મતદાનમથકો પૈકી ૧૮૨૦ મતદાનમથકોમાં ૩ બૅલટ યુનિટનો ઉપયોગ કરાયો હતો. મતદાન દરમ્યાન ૧૧૬ બૅલટ યુનિટ અને ૧૧૪ કન્ટ્રોલ યુનિટ બદલવામાં આવ્યાં હતાં. જ્યાં નાની-મોટી ખામી સર્જાઈ હોય ત્યાં ત્વરિત બૅલટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ તેમ જ વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યાં હતાં.’
તેમણે કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમ જ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે, જ્યારે માંગરોળના ભાટગામે તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે.’ ચૂંટણી દરમ્યાન EVM સંબંધી ૧૧, આદર્શ આચારસંહિતા સંબંધી ૨૧ તથા બોગસ વોટિંગ, કાયદો વ્યવસ્થા અને ક્રાઉડિંગ વગેરેની ૧૮ સહિત કુલ ૯૨ ફરિયાદો મળી હતી. રાજ્યમાં ૨૫,૦૦૦ જેટલાં મતદાનમથકોથી વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી એ મતદાનમથકોનું વેબ કાસ્ટિંગ થકી ક્રૉસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. રાજુલામાં એક ચૂંટણી-કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે જાફરાબાદમાં એક ચૂંટણી-કર્મચારીનું મૃત્યુ થયું છે, જ્યારે છોટાઉદેપુરમાં એક પોલીસ-કર્મચારીનું બાઇક-અકસ્માતમાં મૃત્યુ થયું છે.