સૌરાષ્ટ્ર રીજનમાં ૫૬.૦૭ ટકા વરસાદ પડ્યો : કચ્છના ખેતીવાડી વિભાગે વરસાદ ખેંચાવાની સ્થિતિમાં આકસ્મિક પાક યોજના અપનાવવા કરી અપીલ
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે ગુજરાતમાં શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ પાછલો વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને ગુજરાતમાં કચ્છ તેમ જ સૌરાષ્ટ્ર રીજનમાં ઓછો વરસાદ પડ્યો છે. ચોમાસાની આ સીઝનમાં ગુજરાતમાં સૌથી ઓછો ૨૯.૪૯ ટકા વરસાદ કચ્છ રીજનમાં પડ્યો છે. કચ્છના ખેતીવાડી વિભાગે વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને આકસ્મિક પાક યોજના અપનાવવાની અપીલ કરી છે.
ગુજરાતમાં આ વર્ષે ચાલી રહેલી ચોમાસાની સીઝનમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૭૫.૪૯ ટકા વરસાદ પડ્યો છે. એમાં કચ્છ રીજનમાં ૨૯.૪૯ ટકા, સૌરાષ્ટ્ર રીજનમાં ૫૬.૦૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૬.૨૩ ટકા, પૂર્વ મધ્યમાં ૭૫.૦૪ ટકા અને દક્ષિણ ગુજરાત રીજનમાં ૧૦૪ ટકા વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT
કચ્છમાં વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાનમાં લઈને ખેતી પાકોના ઉત્પાદન પર માઠી અસર ન થાય તેમ જ ઉપલબ્ધ વરસાદી પાણીનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય એ માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આકસ્મિક પાક આયોજન અંતર્ગત જરૂરી પગલાં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. વરસાદ ખેંચાવાને કારણે ખેતીપાકોમાં ઉત્પાદન પર માઠી અસર ન થાય એ માટે જે ખેડૂતો પાસે પિયતની સુવિધા ઉપલબ્ધ હોય તેમણે પાકની કટોકટીની અવસ્થા જેવી કે વિકાસ અવસ્થા, વૃદ્ધિ અવસ્થા, ફુલ અવસ્થા, સુયા બેસવાની અવસ્થા, ચાપવા બંધાવાની અવસ્થાએ ક્યારામાં પિયત આપવાને બદલે એકાંતર ચાસે પિયત આપવું. આ પદ્ધતિથી પિયત પાણીની બચત થઈ શકે છે. ડ્રિપ તથા ફુવારા પિયત પદ્ધતિ ઉપલબ્ધ હોય તો એનો મહત્તમ ઉપયોગ કરવા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં ૩ તાલુકામાં ૫૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે; જ્યારે ૭ તાલુકામાં ૫૧થી ૧૨૫ મિલીમીટર, ૧૪ તાલુકામાં ૧૨૬થી ૨૫૦ મિલીમીટર, ૧૧૬ તાલુકામાં ૨૫૧થી ૫૦૦ મિલીમીટર, ૯૧ તાલુકામાં ૫૦૧થી ૧૦૦૦ મિલીમીટર તેમ જ ૩૭ તાલુકામાં ૧૦૦૦ મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે.
