પત્રકાર શીલા ભટ્ટ અને જાણીતા ગુજરાતી લેખક મધુ રાયે મંગળવારે અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનમાં જાણીતા ગુજરાતી પત્રકાર અને લેખક સ્વર્ગસ્થ કાન્તિ ભટ્ટની યાદમાં બનાવાયેલા એક અનોખા સ્મારક અને વાચનખંડનું લોકાર્પણ કર્યું હતું.
કાન્તિ ભટ્ટ શબ્દ સ્વરૂપે અમદાવાદના સ્મારક થકી હંમેશ માટે જીવંત રહેશે
જાણીતાં પત્રકાર શીલા ભટ્ટ અને જાણીતા ગુજરાતી લેખક મધુ રાયે મંગળવારે અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનમાં જાણીતા ગુજરાતી પત્રકાર અને લેખક સ્વર્ગસ્થ કાન્તિ ભટ્ટની યાદમાં બનાવાયેલા એક અનોખા સ્મારક અને વાચનખંડનું લોકાર્પણ કર્યું હતું. કોઈ લેખક-પત્રકારની યાદમાં જનતાને સમર્પિત આ પહેલું આવું સ્મારક છે. ભવન્સ ખાતે ભારતીય વિદ્યા ભવનની હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન ઍન્ડ મૅનેજમેન્ટ દ્વારા આ સ્મારકનું સંચાલન કરવામાં આવશે. અહીં કાન્તિ ભટ્ટનાં ૧૬૦૦થી વધુ પુસ્તકો તેમ જ તેમના ૧૬,૦૦૦ લેખોનો સંગ્રહ જાળવવામાં આવ્યો છે.
કાન્તિ ભટ્ટનાં પત્ની શીલા ભટ્ટે આ સ્મારક બનાવવાની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે આ સ્મારકમાંથી પ્રેરણા લઈને અન્ય જાણીતા પત્રકારો અને લેખકોની યાદમાં આવાં જીવંત સ્મારક બનાવવામાં આવે એવો આગ્રહ કર્યો હતો.
