સોમનાથમાં ધ્વજારોહણ કર્યું અને શિવપૂજા સાથે અભિષેક કર્યોઃ દ્વારકામાં શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે પાદુકા પૂજન કર્યું
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સોમનાથ મંદિરમાં જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરીને આરતી કરી હતી.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સોમનાથમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ અને દ્વારકામાં પ્રભુ શ્રી દ્વારકાધીશ સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ નમાવ્યું હતું. તેમણે સોમનાથમાં ધ્વજારોહણ કર્યું હતું અને શિવપૂજા સાથે અભિષેક કર્યો હતો, જ્યારે દ્વારકામાં શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે પાદુકા પૂજન કર્યું હતું.
સોમનાથ મંદિરમાં ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યાં હતાં. સોમનાથ મંદિરમાં તેમણે બિલ્વાર્ચન, પુષ્પાર્ચન, સોમેશ્વર મહાપૂજન, ધ્વજ પૂજન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલને રૂદ્રાક્ષની માળા, સોમનાથ મહાદેવની છબી આપીને તેમ જ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલે સોમનાથ પરિસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ADVERTISEMENT
સોમનાથ બાદ દ્વારકા ગયેલા ભૂપેન્દ્ર પટેલે જન્માષ્ટમીના પર્વ પ્રસંગે ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીઓએ શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે પાદુકા પૂજન કરાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલ આહિર સમાજ કાન્હા વિચાર મંચ દ્વારા આયોજિત શોભાયાત્રામાં સહભાગી થયા હતા. મંદિરમાં ભૂપેન્દ્ર પટેલને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અને મંદિરની પ્રતિકૃતિ આપીને તેમ જ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.