કૉન્ગ્રેસમાં આંતરિક વિખવાદ થતા વૉટ્સએપ ગ્રુપ બંધ કરવામાં આવ્યું હતું
શુક્રવારે કૉન્ગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. એ મામલે વૉટ્સએપ ગ્રુપ બંધ થયા બાદ પ્રદેશમાંથી બંને નેતાઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. સોશ્યલ મીડિયામાં પાર્ટી બાબતે પોસ્ટ કરનાર બંને કાર્યકર બહાદુરસિંહ ઝાલા અને અમિતભાઈ રવાણીને નોટિસ આપવામાં આવી છે અને ૩ દિવસમાં જ જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ પક્ષ દ્વારા જ્યાં સુધી સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી બંનેને તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર કૉન્ગ્રેસનો આંતરિક ઝઘડો સપાટી પર આવ્યો હતો. રાજકોટ કૉન્ગ્રેસ વૉટ્સએપ ગ્રુપ અંદરોઅંદર ઝઘડો થતાં બંધ કરવું પડ્યું છે. આઇટી સેલના હોદ્દેદારોની અને કાર્યકર્તાઓની દરેક કાર્યક્રમમાં ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ કર્યો છે. બહાદુરસિંહ ઝાલા નામના હોદ્દેદારે વર્તમાન પ્રમુખ અશોક ડાંગરને લઈ ટિપ્પણી કરી હતી કે પ્રમુખ પાછા બીજેપીમાં નહીં જાય તેની ખાતરી શું? અે મામલે અશોક ડાંગરે જણાવ્યું હતું કે, સાચા કૉન્ગ્રેસી હોય તો કોર્ટમાં સોગંદનામું કરાવે, મને આ મામલે કંઈ ખ્યાલ નથી. હું સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતો નથી. ધ્વજવંદનનો કાર્યક્રમ વોર્ડ નં. ૧૦માં યોજાયો હતો. વોર્ડ નં.૧૦ના કૉર્પોરેટર મનસુખ કાલરિયાએ જણાવ્યું હતું કે, કોઈ માથાકૂટની ઘટના બની નથી.