શિવસેનાના સંસદસભ્યને મારવા બે કરોડની સુપારી આપવાની શંકા
શિવસેનાના સંસદસભ્યને મારવા બે કરોડની સુપારી આપવાની શંકા
પરભણીના શિવસેનાના સંસદસભ્ય સંજય જાધવે તેમને જીવનું જોખમ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમને મોતને ઘાટ ઉતારવા માટે એક ગૅન્ગને બે કરોડ રૂપિયાની સુપારી આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.
લોકસભાના સાંસદ મંગળવારે તેમના સમર્થકો સાથે મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના નાનાલપેઠ પોલીસ સ્ટેશન પર ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર જાધવને ૧૮ ઑક્ટોબરે જાણકારી મળી હતી કે એક વગદાર વ્યક્તિએ નાંદેડની એક ગૅન્ગને બે કરોડ રૂપિયાની સુપારી આપી હતી.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ વર્ષે ઑગસ્ટમાં જાધવે પરભણીના જિંતુર ખાતે એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના બિન-સત્તાવાર વહીવટી બોર્ડ પર એનસીપીને આપવામાં આવેલા પ્રતિનિધિત્ત્વ સામે વિરોધ નોંધાવવા તેમની સંસદની બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ મામલા પર ધ્યાન આપવાની ખાતરી આપી ત્યાર બાદ તેમણે રાજીનામું પાછું ખેંચ્યું હતું.