મોરબીઃ64 મિનિટમાં ભેગુ થયું 75 લાખ ફંડ
વ્હોટ્સ મેસેજ દ્વારા ટહેલ
કાશ્મીરના પુલવામામાં ગુરુવારે 44 સૈનિકો વીરગતિ પામ્યા. આ સૈનિકોના પરિવારજનોની બાજુમાં ઊભા રહેવા માટે અને તેમણે એક દીકરો ભલે ગુમાવ્યો પણ દેશભરમાં તેમના દીકરાઓ બેઠા છે એ વાત પ્રસ્થાપિત કરવા માટે ગઈ કાલે મોરબીના સિરૅમિક અસોસિએશને બપોરે 2.43 વાગ્યે વૉટ્સઍપ ગ્રુપ પર એક મેસેજ ફૉર્વર્ડ કર્યો અને ફન્ડ માટે અપીલ કરતાં રીતસરનો ધોધ વહેવો શરૂ થઈ ગયો હતો અને 65 મિનિટમાં એટલે ત્રણ ને 48 વાગ્યા સુધીમાં 75 લાખ રૂપિયાનું ફન્ડ એકઠું થઈ ગયું હતું. મોરબીમાં સિરૅમિક ઉદ્યોગનાં કુલ ચાર અસોસિએશનો છે અને આ તો હજી માત્ર એક અસોસિએશને ચમત્કાર કર્યો છે. મોરબી સિરૅમિક અસોસિએશન દ્વારા લેવામાં આવેલા આ પગલાનો વિચાર અસોસિએશનના પ્રમુખ મુકેશ ઉધરેજા અને તેમના કમિટી મેમ્બર નીલેશ જેતપરિયા, કિશોર ભાલોડિયા અને કિરીટ પટેલને આવ્યો હતો. મુકેશ ઉધરેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોરબીના કલેક્ટર સાથે વાત કરી અને તેમણે કહ્યું કે શહીદોની સહાય માટે કામ કરવું જોઈએ. જોકે કેવી રીતે એની શરૂઆત કરવી એ ખબર નહોતી પડતી. પછી વિચાર્યું કે બધાને મળવા માટે ભેગા કરો અને મોડું થઈ જાય એના કરતાં વૉટસ્ઍપના ગ્રુપમાં જ મેસેજ મૂકી દઈએ. અમે મેસેજ મૂક્યો અને ધડાધડ બધાએ પોતાનો ફાળો લખાવવાનું શરૂ થઈ ગયું. ૭૫ લાખ સુધી આ આંકડો પહોંચ્યા પછી અમે જ એમાં બ્રેક મારીને કહ્યું કે હવે કાલે કલેક્ટર પાસેથી બાકીની વિગત લઈને કયા નામનો ચેક આપવાનો છે એની જાણ કરીએ. પછી આ કામ આગળ વધારીશું.’
મોરબી સિરૅમિક અસોસિએશન પછી હવે મોરબીનાં જ અન્ય જે ત્રણ અસોસિએશનો છે એ અસોસિએશનો પણ ફન્ડ એકઠું કરવા માટે ટહેલ મૂકવાનું વિચારી રહ્યાં છે. જો એવું બનશે તો લખી રાખજો કે એકલું મોરબી શહીદોના પરિવારને બેથી ત્રણ કરોડ રૂપિયાની આર્થિક સહાય કરી આપશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શ્રદ્ધાંજલિઃગુજરાતના જુદા જુદા બજારો આજે પાળશે બંધ
ફન્ડ માટેની શું અરેન્જમેન્ટ કરી છે?
અસોસિએશન હવે ગુજરાત સરકાર અને કલેક્ટર પાસેથી આ ફન્ડ કયા નામ હેઠળ લેવું એની વિગતો લેશે અને એ પછી એ ફન્ડના ચેક એકઠા કરીને એ ચેક સરકારને જમા કરાવવામાં આવશે. આ પ્રક્રિયા આજે થશે.