માસ્કલેસ મૅરેજ ફંક્શન્સ ડેન્જરસ
પ્રતીકાત્મક તસવીર
ગયા વર્ષે માર્ચ મહિનાથી મુંબઈમાં કોરોનાએ એન્ટ્રી માર્યા બાદથી અહીં મહિનાઓ સુધી સ્થિતિ ખૂબ જ ગંભીર રહી હતી. જોકે ઑક્ટોબર ૨૦૨૦ બાદ કોરોનાના નવા કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો થવાથી રાહત અનુભવાઈ હતી. આ મહિનાની શરૂઆતમાં લોકલ ટ્રેનોમાં સામાન્ય મુંબઈગરાઓને અમુક કલાકની છૂટ અપાવાની સાથે વાઇરસે ફરી માથું ઊંચકતા નવા કેસની સંખ્યા વધી છે. સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ લોકોને માસ્ક પહેરવા સિવાય કોઈ વિકલ્પ નથી એટલે કોવિડના નિયમનું કડક પાલન કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. ૭થી ૮ દિવસમાં સ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય તો આકરા નિર્ણય લેવાનું અલ્ટિમેટમ તેમણે આપ્યું હતું. બીએમસીએ ગઇ કાલે કહ્યું હતું કે અત્યારે ખાસ કરીને મૅરેજ ફંકશન્સ અને અન્ય પાર્ટીઓમાં લોકો હૉલ કે હૉટેલની અંદર માસ્ક ઊતારી નાખે છે જે સંક્રમણનું સૌથી મોટું કારણ બની રહ્યું છે.
મુંબઈમાં ૨૮ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ નોંધાયેલા ૧૩૪૫ કેસ બાદ ગઈ કાલે એક દિવસમાં સૌથી વધુ ૧૧૬૭ નવા કેસ આવતાં ગભરાટ ફેલાઈ ગયો છે. આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ ૧૦ દિવસનો પ્લાન બનાવ્યો છે. ૧૪,૦૦૦ બેડની સુવિધા ઊભી કરવા સામે અત્યારે ૩૫૦૦ દરદી અૅડ્મિટ હોવાથી ચિંતા કરવાની જરૂર ન હોવાનું કહ્યું છે.
ADVERTISEMENT
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે નોંધાઈ રહેલા નવા કેસમાંથી ૧૭ ટકા લોકોને જ હૉસ્પિટલમાં અૅડ્મિટ કરાઈ રહ્યા છે. ૮૩ ટકા લોકો સામાન્ય હોવાથી તેમને હોમ ક્વૉરન્ટીન કરાઈ રહ્યા છે. આથી હૉસ્પિટલોમાં વધારે દરદીઓ નથી. જમ્બો કોવિડ હૉસ્પિટલ સહિત અત્યારે ૧૪,૦૦૦ બેડ ઉપલબ્ધ કરાયા છે.’
મુંબઈ મહાનગરપાલિકાના અૅડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. લોકો બહાર હોય છે ત્યારે માસ્ક પહેરે છે, પણ કોઈ હૉલ કે લગ્નના સ્થળે હોય છે ત્યારે માસ્ક પહેરવાથી ઓળખવામાં મુશ્કેલી થતી હોવાથી માસ્ક કાઢી નાખે છે. આ ખૂબ જ જોખમી છે. લગ્ન કે મૅરેજ અૅનિવર્સરી અથવા બર્થ-ડે સેલિબ્રેશન કરતી વખતે બધાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આમ કરવાથી સંક્રમણ થવાની શક્યતા સૌથી વધુ હોય છે. કોવિડના નિયમનું પાલન કરીને કાર્યક્રમનું આયોજન હોય ત્યાં હૉલ કે હોટેલની અંદર જઈને માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહી કરવાનું શક્ય નથી. આથી સૌને વિનંતી છે કે ફરી લૉકડાઉન ટાળવું હોય તો કોઈ પણ ફંક્શનમાં માસ્ક નહીં ઉતારતા.’
ઉલ્લેખનીય છે કે ગયા સોમવારથી મુંબઈમાં સતત વધી રહેલા કોરોનાના નવા કેસને ધ્યાનમાં રાખીને પાલિકા ઉપરાંત મુંબઈ પોલીસ દ્વારા પણ માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોને દંડવામાં આવી રહ્યા હોવા છતાં કોરોના વાઇરસ કાબૂમાં નથી આવી રહ્યો.