મને હાજીઅલી જવામાં વાંધો નથી, તમે કાશી રાજી ખુશી આવો
પ્રતીકાત્મક તસવીર
આપણે ધર્મનિરપેક્ષ બનવાની વાતો કરીએ છીએ, પણ એ ધર્મનિરપેક્ષતાની સાચી વ્યાખ્યા જાણવાની કોશિશ ક્યારેય કરતા નથી. ધર્મનિરપેક્ષતાનો શાસ્ત્રોક્ત અર્થ સમજવા જવાની કોઈ જરૂરિયાત નથી જો તમને એટલું માત્ર સમજાઈ જાય કે હું તમારા ધર્મનો એટલો જ આદર કરું જેટલો મારા ધર્મનો કરું છું. બહુ સીધી અને સરળ વ્યાખ્યા છે આ.
મસ્જિદ પાસેથી પસાર થતી વખતે જો મારાથી હાથ જોડાઈ જતા હોય તો પછી મંદિર પાસેથી નીકળતી વખતે તમારાથી હાથ જોડાય એવી મારી ભાવના ક્યાંય ખોટી નથી. જો ચર્ચમાં જવામાં મને કોઈ જાતનો સંકોચ ન હોય, ઊલટું આદર હોય તો મારા મંદિરમાં આવતી વખતે તમને પણ સંકોચ કે ખચકાટ નહીં, પણ મારા જેટલો આદર હોવો જોઈએ. જો હું તમારી સંસ્કૃતિને માન આપું તો તમે પણ એ જ કામ કરતા હો એવી મારા આશા હોય અને મારી એ આશા હોય તો એમાં મને કોઈ અતિશયોક્તિ પણ મને નથી દેખાતી. મને મારા ધર્મ માટે માન છે, તમને તમારા ધર્મ માટે માન છે અને એટલે આપણને બન્નેને એકબીજાના ધર્મ માટે પ્રેમભાવ છે. આ સીધી અને સાદી ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા છે અને આ જ વ્યાખ્યાને આપણે રાષ્ટ્રમાં પ્રસરાવવાની હોય પણ એવું નથી થતું.
મારા ધર્મમાં ગાયનું મૂલ્ય છે તો એ મૂલ્ય તમારે પણ જાણવું જોઈએ એવું હું માનું છું અને મારી ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા મુજબ, આ ધારણા ક્યાંય ખોટી નથી અને એમાં અતિશયોક્તિ પણ નથી. કારણ કે હું તમારા આદરને પૂરતું માન આપવા તૈયાર છું અને બંધાયેલો પણ છું. મને હાજીઅલી દરગાહ જવામાં કોઈ ખચકાટ નથી થવાનો પણ તો જ, જો તમે પણ પૂરા આદર સાથે, પૂરા સત્કારભાવ સાથે કાશી આવવા માટે રાજી હો તો. મને ચાદર ચડાવવામાં કોઈ જાતનો સંકોચ નહીં થાય, કારણ કે હું માનું જ છું કે ઈશ્વર-અલ્લાહ એક જ છે. માત્ર નામ જુદાં છે, પણ બે નામના આ એક ઑલમાઇટીની ભાવના તમારા મનમાં પણ હોવી જોઈશે. અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલમાં હું માથુ ઝુકાવું તો એ સમયે મારી આંખો સામે જે દૃશ્ય ઊભું થશે એમાં હું તમને સોમનાથ મહાદેવનાં દર્શન કરતા જોતો હોઈ શકું છું. બાંદરાના મધર મૅરી ચર્ચમાં મારી કૅન્ડલ જલશે ત્યારે હું જીઝસને પ્રાર્થના કરીશ, પણ જો હું એ પ્રાર્થના કરીશ તો મને એ વાતનો ભરોસો જોઈશે કે શ્રીનાથજીમાં મારા શ્રીજીબાવા સામે તમે પણ હાથ જોડીને દર્શન કરતા હશો. ભલે તમે મનમાં તમારા જીઝસની જ પ્રાર્થના બોલતા હો અને હું મધર મૅરી સામે નવકારમંત્ર જ બોલતો હોઉં, પણ આસ્થા તો બન્નેની સમાન જ હોવી જોઈએ અને જો આસ્થા અને શ્રદ્ધ સામાન સ્તરે હશે તો જ આપણે ધર્મનિરપેક્ષ કહેવાઈશું. હું પૂર્ણપણે ધર્મનિરપેક્ષ બનવા સક્ષમ છું, તમે છો ખરા? હું તૈયાર છું, તમારી તૈયારી પણ છેને? સેક્લયુરના નામે દેશને વગોવવાનું કામ કરનારાઓ જો રાજી હોય તો ધર્મનિરપેક્ષતાની શ્રેષ્ઠતમ સીમા, ઉચ્ચતમ દિશા દેખાડવા હું પણ તૈયાર છું. તમારી તૈયારી છેને?