રાજ્યમાં કોઈ ભૂખ્યું નહીં ઊંઘે એનું રાજ્ય સરકાર ધ્યાન રાખશે : દેશમુખ
અનિલ દેશમુખ
કોરોના વાઇરસને લીધે દેશમાં કરવામાં આવેલા લૉકડાઉનમાં બહારગામથી આવેલા કામદારો કે કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો નહીં રહે એનું ધ્યાન મહારાષ્ટ્ર સરકાર રાખશે એવી ખાતરી રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે આપી હતી. અનિલ દેશમુખે મધ્ય મુંબઈના ભાયખલામાં રિચર્ડસન ક્રુડાસ પરિસરમાં ઊભા કરવામાં આવેલા શેલ્ટરમાં આશ્રય પામેલા બહારગામથી આવેલા કામદારોની મુલાકાત લીધી હતી. લૉકડાઉનને કારણે રોજગારવિહોણા બનેલા કામદારો તેમ જ જેમનું મુંબઈમાં પોતાનું ઘર ન હોય તેવા લોકોને આ રાહત છાવણીમાં રાખવામાં આવ્યા છે. તેમણે રાહત છાવણીમાં લોકોને ફૂડ-પૅકેટ્સ વહેંચ્યાં હતાં. તેમની મુલાકાતે રાજ્યમાં કોઈ ભૂખ્યું નહીં રહે એવા ઉદ્ધવ ઠાકરેએ આપેલા વચનની યાદ અપાવી હતી.
આદિવાસીઓ, રોજિંદા કામદારો કે કોઈ પણ ગરીબ વ્યક્તિ પછી તે કોઈ પણ રાજ્યની હોય, ભૂખી નહીં રહે કે તેને કોઈ તકલીફ નહીં પડે એ જોવાની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની છે એમ તેમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
અનિલ દેશમુખે અધિકારીઓને રાજ્યમાં રોજગારવિહોણા બહારગામના કામદારોની યાદી આપી હતી જેથી તેમને રાહત પહોંચાડી શકાય.