આદિત્યના મતવિસ્તારમાં સ્વચ્છ ભારત હોર્ડિંગ દર્શાવવા વૃક્ષો કાપી નખાયાં
હોર્ડિંગ દેખાઈ શકે એ માટે વરલી સી ફેસ પર છટણી કરવામાં આવેલાં વૃક્ષો. તસવીર : આશિષ રાજે.
રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે પર્યાવરણના નુકસાનના મુદ્દે અવાજ ઉઠાવવા માટે જાણીતા છે, ખાસ કરીને જ્યારે આરે મિલ્ક કૉલોનીમાં મેટ્રો-૩ના કારશેડ માટે વૃક્ષછેદનની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ લાક્ષણિકતા જોવા મળી હતી. જોકે એક વિરોધાભાસમાં તાજેતરમાં તેમના વિધાનસભા મતવિસ્તાર વરલીમાં તાજેતરમાં જ વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં હતાં અને એની પાછળનું કારણ, સ્થાનિક લોકોના દાવા પ્રમાણે એ છે કે સ્વચ્છ ભારતનું હોર્ડિંગ સ્પષ્ટ દેખાઈ શકે.
શિવસેનાના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ શિંદેએ સંમત થતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વરલી સી ફેસ પરનાં વૃક્ષો તાજેતરમાં કાપવામાં આવ્યાં હતાં જેથી હોર્ડિંગ સ્પષ્ટ દેખાઈ શકે. મેં લોકોને આગળ આવવા અને ફરિયાદ કરવા જણાવ્યું છે જેથી કસૂરવાર લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી શકાય. જો કોઈ આગળ ન આવ્યું તો હું આ કેસ રજૂ કરીશ.’
ADVERTISEMENT
જોકે તેમણે જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરે પર્યાવરણ પ્રધાન છે અને તેઓ વૃક્ષછેદનની કામગીરી જ્યાં થઈ એ વરલી વિધાનસભા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે, કેવળ એટલા કારણસર તેમને આ વિવાદમાં ઘસડવા એ ખોટું ગણાશે.
વિરોધ પક્ષ આદિત્ય ઠાકરેને સપડાવવા માટે આનો ઉપયોગ કરી શકે છે. એ હકીકતથી વાકેફ શિવસેનાના નેતા સચિન આહિરે સ્થાનિક વૉર્ડ અધિકારીઓને કસૂરવાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે એ અનુસાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઍન્ડ પ્રિઝર્વેશન ઑફ ટ્રીઝ ઍક્ટ ૧૯૭૫ની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે.