પોરબંદરથી 500 જવાનો દિલ્હી રાજઘાટ સુધી સાઇકલયાત્રા પર રવાના
પોરબંદરથી 500 જવાનો દિલ્હી રાજઘાટ સુધી સાઇકલયાત્રા પર રવાના
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દેશની સુરક્ષા માટે સદા તત્પર રહેતી ઈન્ડિયન પેરા મિલિટરી ફોર્સના ૫૦૦ જેટલા જવાનો દ્વારા પોરબંદરથી રાજઘાટ દિલ્હી સુધી સાઈકલયાત્રાની શરૂઆત કરી છે. ચાર રાજ્યોમાંથી પસાર થઈને ૨ ઑક્ટોબર ગાંધીજીની જન્મ જયંતીના રોજ દિલ્હી પહોંચનાર આ સાઇકલયાત્રાને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી. ક્રિષ્ના રેડ્ડી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનમૂલ્યો અહિંસા-સ્વચ્છતાના સંદેશાને જન-જન સુધી પ્રસરાવવા સાથે જ ડ્રગ્સના દૂષણ સામે યુવાનોને જાગૃત કરવાના ધ્યેય સાથે પ્રસ્થાન થનાર આ સાઇકલયાત્રામાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ, આઇટીબીપી, એસએસબી, એનએસજી અને આસામ રાઇફલના ૫૦૦ જેટલા જવાનો ૧૩૦૦ કિલોમીટર સાઇકલયાત્રા કરીને રાજઘાટ દિલ્હી પહોંચશે. આ સાઇકલયાત્રાનું પ્રસ્થાન બાપુના જન્મસ્થળ પોરબંદર ખાતેથી કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી. ક્રિષ્ના રેડ્ડી દ્વારા કરાવવામાં આવ્યું હતું. ચોપાટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક બાબતોના રાજ્ય પ્રધાન ઈશ્વરસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્ર અને ઈન્ડિયન પેરા મિલિટરી ફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ, આરતીના સમયમાં ફેરફાર થયો
દેશની બોર્ડર સહિતની સુરક્ષાઓમાં જોડાયેલ ઈન્ડિયન પેરા મિલિટરી ફોર્સના જવાનો ગાંધીજીનું જીવન તેમ જ તેમનો અહિંસા-સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચે તેમ જ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ધ્યેય સાથે આ સાઇકલયાત્રાનું પ્રસ્થાન કરાયું છે. આ સાઇકલયાત્રામાં જોડાયેલ જવાનોએ પોતે સાઇકલયાત્રામાં સહભાગી બનતા ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ૨ ઑક્ટોબરના રોજ અમે રાજઘાટ દિલ્હી ખાતે પહોંચીશું.