બુલેટ ટ્રેનને લઈને સુરતમાં ખેડૂતોમાં ખુશીના સમાચાર, આજે જાહેરાત થશે
બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેનની મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે એવા અણસાર જણાયા છે. સુરતના ઓલપાડ, માંગરોળ તથા કામરેજ તાલુકાના ખેડુતોને જંત્રીનો ભાવ સાતગણો આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ૧૩ નવેમ્બરે મહેસૂલ મંત્રી દ્વારા આ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને શરૂઆતથી જ ગ્રહણ નડ્યું હતું. સુરત સહિત નવસારી અને મહારાષ્ટ્રના જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી પોતાની જમીન આપવા ઇનકાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ તો સર્વેની કામગીરી પણ અટકાવી દીધી હતી.
ADVERTISEMENT
તેમ જ ન્યાય માટે કોર્ટનાં દ્વાર પણ ખખડાવ્યાં હતાં. સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ખેડૂતોની વાત કરીએ તો ગામોમાં જંત્રીનો ભાવ રૂપિયા ૧૦૦થી પણ ઓછો છે, જેને કારણે ખેડૂતોને બજાર ભાવ કરતાં ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો હતો જેને કારણે ખેડૂતો સખત વિરોધ નોંધાવી રહ્યા હતા.
આ દરમિયાન ૧૦૦ રૂપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે એ માટે કલેક્ટર ડૉ. ધવલ પટેલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે સુરત સ્ટૅમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ હતી. આ કમિટીએ ઓલપાડ, માંગરોળ અને કામરેજમાં ૧૦૦થી ઓછી જંત્રી ધરાવતાં આઠ ગામોમાં સર્વે કર્યો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સર્વે બાદ ૧૦૦થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે ૭૦૮ રૂપિયાનો ભાવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશીની લહેર જોવા મળી હતી. આ વિશે ૧૩ નવેમ્બરે મહેસૂલ મંત્રી સાથે બેઠક મળશે અને ત્યાર બાદ સત્તાવાર જાહેરાત કરાશે.