નવલખી બંદરે 192 કરોડના ખર્ચે નવી જેટી બનશે, બે વર્ષમાં બાંધકામ પૂર્ણ
વિજય રૂપાણી
રાજ્યના મુખ્ય પ્રધાને નવલખી બંદર ખાતે નવી જેટી બનાવવા માટેની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ જેટીનું નિર્માણ ગુજરાત મૅરિટાઇમ બોર્ડ ૧૯૨.૩૩ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે હાથ ધરશે. આ અંતર્ગત નવલખી બંદર ખાતે ૪૮૫ મીટરની નવી અદ્યતન જેટીનું બાંધકામ કરવામાં આવશે. બંદરની પ્રવર્તમાન કૅપેસિટી ૮ એમએમટીપીએ (મિલ્યન મેટ્રિક ટન પર ઍનમ) છે એ વધારીને ૨૦ એમએમટીપીએ કરવાના હેતુસર આ નવી જેટીનું બાંધકામ થવાનું છે. પરિણામે બંદરની હાલની કાર્ગો હૅન્ડલિંગ કૅપેસિટીમાં વાર્ષિક ૧૨ એમએમટીપીએ વધારો કરવાનું આયોજન છે.
રાજ્યનું નવલખી બંદર ૧૯૩૯થી કાર્યરત છે. આ બંદરની વ્યૂહાત્મકતાને પરિણામે આ બંદરેથી ગુજરાત, ઉત્તર ભારત, મધ્ય ભારતના પાવર પ્લાન્ટ્સ માટે કોલસાનું વહન થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરત: અસલી સ્વામીનો નકલી નોટનો ગોરખધંધો
હાલ નવલખી બંદર પર કુલ ૪૩૪ મીટર લંબાઈની જેટીઓ આવેલી છે, જેના પરથી ગુજરાત મૅરિટાઇમ બોર્ડ વાર્ષિક ૧૧.૮૫ એમએમટી કાર્ગોની હેરફેર કરે છે. ભારત સરકારે અમલમાં મૂકેલા સાગરમાલા પ્રોજેક્ટનો પણ આ નવલખી બંદરને લાભ મળશે. એ અંતર્ગત ૧૦૦ મીટરની જેટી માલસામાનના આંતરરાજ્ય દરિયાઈ પરિવહન માટે વિકસાવવામાં આવશે.