Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 61,267 કેસ, 884 દર્દીઓનાં મોત
તસવીર સૌજન્ય: એએફપી
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 66 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડા દિવસો પહેલા ચોવીસ કલાકમાં 90 હજારથી વધુ કેસો સામે નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. ઘણા દિવસો બાદ પોઝિટિવ કેસોની સંખ્યા 70 હજારની નીચે નોંધાઈ છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 61,267 નવા કેસ નોંધાયા છે અને 884 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 66,85,083 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,19,023 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 56,62,491 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 75,787 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,03,569 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 10,244 નવા કેસ નોંધાયા છે અને 263 લોકોના મોત થયા છે. જ્યારે 12,982 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 14,53,653 થઈ ગયો છે. તેમાંથી 2,52,721 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 38,347 લોકો મૃત્યુ પામ્યા છે અને 11,62,585 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,372 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકોના મોત થયા હતા. જ્યારે 1,405 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,44,027 થઈ ગયો છે. જેમાંથી 16,745 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,509 લોકોના મોત થયા છે અને 1,23,638 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં પાંચમી ઓક્ટોબર સુધીમાં કોરોનાના 8,10,71,797 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, સોમવારે 10,89,403 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.