કૉન્ગ્રેસે સીએએ લાવવાનો વાયદો કર્યો હતો, મોદી સરકારે એને પૂરો કર્યો
(જી.એન.એસ.) નાગરિકતા સંશોધન કાયદા વિશે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને કૉન્ગ્રેસે પાકિસ્તાનમાં દયનીય જીવન જીવી રહેલા લોકોને જે વચન આપ્યું હતું એ વચન નિભાવ્યું છે. રાજ્યપાલે કહ્યું કે કાયદાનો પાયો તો ૧૯૮૫ અને ૨૦૦૩માં રખાયો હતો. મોદી સરકારે તો એને ફક્ત કાયદાકીય સ્વરૂપ આપ્યું છે.
નાગરિકતા સંશોધન કાયદામાં મુસલમાન શરણાર્થીઓનો સમાવેશ ન કરવાના સવાલ પર રાજ્યપાલે કહ્યું કે પાકિસ્તાનને એક મુસ્લિમ રાષ્ટ્ર તરીકે બનાવવામાં આવ્યું હતું તો આવામાં શું તેઓ મુસ્લિમોને સતાવશે? અમે માનીએ છીએ કે પાકિસ્તાન અને બંગલા દેશથી મુસલમાનો આવ્યા હતા, પરંતુ તેમને સતાવ્યા હતા એટલે નહીં, પરંતુ તેઓ રોજગારીની શોધમાં આવ્યા હતા.
અત્રે જણાવવાનું કે પૂર્વોત્તર રાજ્યો સહિત દિલ્હી અને કેરળમાં પણ નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. રાજ્યપાલ ખાનેને પણ તાજેતરમાં વિરોધ-પ્રદર્શનનો સામનો કરવો પડ્યો. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને કૉન્ગ્રેસની યુવા શાખા અને વિદ્યાર્થીઓએ રાજ્યના પાટનગરમાં તેમના અધિકૃત નિવાસસ્થાન સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.