ચીન આંદામાન-નિકોબાર પૂર્વ સમુદ્રી સીમામાં જાસૂસી કરતું હોવાનો ધડાકો
પૂર્વોત્તરની સરહદ બાદ હવે ચીન સમુદ્રમાં ભારત વિરોધી અવળચંડાઈ પર ઊતર્યું છે. કેન્દ્રીય એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ચીન આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહને અડીને આવેલી પૂર્વી સમુદ્રી સીમામાં ભારતની જાસૂસી કરી રહ્યું છે. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ચીન આ પૂર્વી સમુદ્રી વિસ્તારમાં જાસૂસી માટે પોતાના સમુદ્રી જહાજો મોકલી રહ્યું છે. જેના દ્વારા ચીન ભારતની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન હિંદ મહાસાગરમાં આવેલા ભારતીય નૌકાદળના તમામ બેઝની જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના માટે આંદામાન અને નિકોબાર નેવલ બેઝ રણનૈતિક દૃષ્ટિએ સૌથી મહત્ત્વના છે. ભારતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે થોડા મહિના પહેલાં જ ચીની નૌકાદળે હિંદ મહાસાગરમાં ભારતની જાસૂસી માટે તેના અત્યાધુનિક જાસૂસી સમુદ્રી જહાજ તિયાંગવાંગશિંગને તહેનાત કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: જોઈ ન શકતા 9 લોકોએ 65 ફૂટ લાંબી જૂટની થેલી બનાવી
આ સમુદ્રી જહાજ ભારતના સમુદ્રી ઈકૉનૉમિક ઝોન ઈઈઝેડમાં ઘૂસી ગયું હતું અને થોડા દિવસો સુધી અહીં જ ધામા નાખીને રહ્યું પણ હતું. ભારતીય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હવે એ જાણવાના પ્રયાસ થઈ રહ્યા છે કે, આખરે તિયાંગવાંગશિંગ જહાજ તહેનાત કર્યા બાદ ભારતની જાસૂસી કરી કઈ કઈ માહિતી મેળવવામાં આવી છે. સાથે જ એ પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, આખરે તિયાંગવાંગશિંગને આ વિસ્તારમાં ઉતારવા પાછળ ચીનનો હેતુ શો હતો.