રોટલી આપણા રોજિંદા આહારનો મહત્ત્વનો ભાગ છે; પરંતુ એમાં વપરાતા લોટમાં થતી ભેળસેળ રોટલીને હેલ્ધી નહીં, હેલ્થ માટે જોખમી બનાવી દે છે
સાવધાન, બજારમાંથી તૈયાર લવાતો ઘઉંનો લોટ શુદ્ધ છેને?
ઘરે ઘઉં લાવીને દળાવવાની પરંપરા હવે ભુલાઈ રહી છે. એને બદલે રેડીમેડ લોટ મળી રહે છે એ વાપરવામાં સરળ તો છે પણ સેફ છે ખરા? માત્ર ઘઉંનો જ નહીં, અલગ-અલગ અન્ય ધાન્યોનો લોટ પણ તૈયાર લવાય છે ત્યારે લોટ શુદ્ધ હોય એ બહુ જરૂરી છે.
રોટલી ભારતીય ભોજનનો સૌથી સામાન્ય અને મહત્ત્વનો ભાગ છે, પરંતુ જે ઘઉંનો લોટ આપણે રોજિંદા આહારમાં લઈએ છીએ એની ગુણવત્તા સારી ન હોય અથવા એમાં ભેળસેળ કરવામાં આવી હોય તો એ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. પૅકેટવાળો હોય કે ખુલ્લો લોટ, ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઘઉંના લોટમાં ક્યારેક મકાઈ, ચોખા, બાજરી અથવા અન્ય સસ્તા અનાજનો લોટ મિક્સ કરવામાં આવે છે. થોડી માત્રામાં આ વસ્તુઓ હાનિકારક ન હોય, પરંતુ જો પ્રમાણ વધુ હોય તો લોટની ગુણવત્તા અને પોષણમૂલ્ય ઘટી શકે છે. કેટલાક કિસ્સામાં લોટને વધુ સફેદ અને નરમ દેખાડવા માટે એમાં મેંદો અથવા સ્ટાર્ચ જેવી વસ્તુઓ ઉમેરવામાં આવી શકે છે. આવા લોટમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોઈ શકે છે. ભેળસેળવાળો લોટ નિયમિત લેવાથી એની ગુણવત્તા પર આધાર રાખીને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. એમાં ફાઇબર અને પોષક તત્ત્વો ઓછાં હોવાથી પાચન પર અસર પડી શકે છે. પેટ ફૂલવું, કબજિયાત થવી અથવા પાચન સંબંધિત તકલીફો થવાની શક્યતા વધી શકે છે. જો લોટમાં વધુ પ્રમાણમાં મેંદો અથવા ઓછા ગુણવત્તાવાળાં કાર્બોહાઇડ્રેટ્સ હોય તો એ બ્લડ-શુગરને પણ અસર કરી શકે છે. ખાસ કરીને ડાયાબિટીઝ ધરાવતા લોકોએ લોટની ગુણવત્તા અને પ્રમાણ બન્નેનું ધ્યાન રાખવું જોઈએ. કેટલાક કિસ્સાઓમાં લોટનું વજન વધારવા માટે એમાં ચૉકનો પાઉડર અથવા સ્ટોનનો પાઉડર જેવા પદાર્થો ભેળવવામાં આવતા હોવાની ફરિયાદો જોવા મળે છે. આવા પદાર્થોમાં કૅલ્શિયમ કાર્બોનેટ જેવાં ખનિજો હોઈ શકે છે જે અખાદ્ય ચીજો છે. આવી ભેળસેળવાળો લોટ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી આવા ભારે ખનિજવાળા પદાર્થોનું સેવન થવાથી કિડની પર પણ અસર થવાની શક્યતા રહે છે.
લોટ ખરીદતી વખતે કઈ તકેદારી રાખવી?
ADVERTISEMENT
હંમેશાં જાણીતી અને ભરોસાપાત્ર બ્રૅન્ડનો જ પૅકેજ્ડ લોટ પસંદ કરો. ખરીદી કરતી વખતે એના પર FSSAIનું પ્રમાણપત્ર અવશ્ય ચકાસી લો જે ગુણવત્તાની ખાતરી આપે છે.
બજારમાં સામાન્ય ભાવ કરતાં ખૂબ જ ઓછી કિંમતે મળતો લોટ ખરીદવાનું ટાળો. અસાધારણ રીતે સસ્તા લોટમાં હલકી ગુણવત્તાના પદાર્થો અથવા ભેળસેળ હોવાની સંભાવના સૌથી વધુ રહે છે.
શુદ્ધતાની ૧૦૦ ટકા ખાતરી ઇચ્છતા હો તો શ્રેષ્ઠ રસ્તો એ છે કે સારા ઘઉં બહારથી જાતે ખરીદીને એને ઘંટી પર દળાવો. ક્યારેય પણ કરિયાણાની દુકાનમાંથી ડ્રમમાંથી કે થેલીમાંથી ખુલ્લો લોટ ન ખરીદો. ખુલ્લા લોટમાં ભેળસેળ થવાનું તેમ જ ધૂળ કે જીવાતો પડવાનું જાખમ વધારે રહે છે. પૅકેજ્ડ લોટ ઘરે લાવ્યા પછી પણ એનો રંગ, સુગંધ અને બનાવટ ચકાસી લો જેથી એમાં કોઈ શંકાસ્પદ કેમિકલ કે ભેળસેળની પરખ થઈ શકે.
