આજકાલ ખાવા-પીવામાં થોડી ગરબડ ચાલે છે. શું આ કારણે એવું થાય છે? ખોરાકમાં કઈ ભૂલો થાય જેને કારણે બ્લોટિંગ આવે છે? એ માટે શું કરવું?
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
હું ૩૮ વર્ષનો છું. હમણાં-હમણાં સવારે ઊઠું ત્યારે મોઢા પર થોડા સોજા હોય એવું લાગે છે, જે દિવસ ચડતા ઓછા થતા જાય છે. આ સિવાય સવારે પેટ સાફ આવે ત્યારે એ એકદમ અંદર હોય છે અને રાત પડતા સુધીમાં ફૂલી જાય છે. મને એનાથી સારું નથી લાગતું, પરંતુ મને એ પણ નથી સમજાતું કે આટલું બ્લોટિંગ કેમ થતું હશે? આજકાલ ખાવા-પીવામાં થોડી ગરબડ ચાલે છે. શું આ કારણે એવું થાય છે? ખોરાકમાં કઈ ભૂલો થાય જેને કારણે બ્લોટિંગ આવે છે? એ માટે શું કરવું?
બ્લોટિંગ એટલે જ થોડું ફૂલેલું લાગવું. શરીરમાં પાણીનો ભરાવો થાય ત્યારે બ્લોટેડ ફીલ થાય છે. આમ તો એની પાછળ જુદાં-જુદાં ઘણાં કારણો છે, પણ જો આપણે ખોરાક સંબંધિત જ વાત કરીએ તો એક કારણ એ છે કે જો તમે જરૂર કરતાં ખૂબ જલદી જમતા હો તો આવું થઈ શકે, જેમાં ખોરાક બરાબર ચવાય નહીં અને પાચન વ્યવસ્થિત થાય નહીં, જેને કારણે બ્લોટિંગ ફીલ થાય છે. આ સિવાય જો તમે જમતા પહેલાં અને જમ્યા પછી ખૂબ વધારે પાણી પીતા હો તો પણ એ પાચનને અસર કરે છે એટલે પાણીનો ભરાવો થાય છે. ઘણા લોકોને ચાવવાની ખૂબ આળસ આવતી હોય છે એટલે એ લોકોને અડધું ચાવીને પાણી કે છાસ કે લિક્વિડ સાથે વસ્તુઓ ગળી જવાની આદત હોય છે. આ આદતને કારણે તેમને નાનપણમાં વાંધો ન આવે, પરંતુ જેમ ઉંમર વધતી જાય એમ તકલીફ વધી શકે. તમે ખુદ જ આ બાબતે જાગૃતિ લાવી શકો. ખોરાકને વ્યવસ્થિત શાંતિથી ચાવીને ખાઓ. ઘણી વખત લોકોને ખૂબ ભૂખ લાગી હોય ત્યારે પણ તેઓ વગર ચાવ્યે ગપાગપ ખાઈ લેતા હોય છે. આ આદત બિલકુલ સારી નથી. જો તમને એ આદત હોય તો બદલો. આ સિવાય જો તમારો ખાવાનો સમય અનિયમિત હોય તો એને નિયમિત કરો. એક નિશ્ચિત સમયે જો તમે ખોરાક લેશો તો બ્લોટિંગવાળી તકલીફ ઘટશે. રાતે કે મોડી રાતે ખોરાક લેવાનું ટાળો. રાતનો ખોરાક જેટલો જલદી તમે લઈ શકો એટલું બ્લોટિંગને તમે તમારાથી દૂર રાખી શકશો. આ સિવાય જો તમે ચાલતાં-ચાલતાં, હરતાં-ફરતાં હાથમાં એક રોલ કે એક સૅન્ડવિચ પકડીને ખાતા હો તો એ પણ ખોટું છે. આ બધી બાબતો નાની દેખાય છે એ પાચનમાં ઘણી અસરકર્તા છે. ખોરાકમાં મીઠું ઓછું કરો, પૂરતું પાણી પીઓ. એક પણ મીલ સ્કીપ ન કરો. આ બધા પર ધ્યાન આપશો તો બ્લોટિંગમાં ચોક્કસ ફરક પડશે.