જગન્નાથજીની અષાઢી બીજની યાત્રા બહુ ફેમસ છે, પરંતુ અષાઢ સુદ દસમે તેમની પાછા મંદિર આવવાની યાત્રા વિશે વધુ વાતો થતી નથી:આ બહુડા યાત્રા ધમાકેદાર તો હોય જ છે, એ ઉપરાંત આ યાત્રા બાદ જગન્નાથજીના ‘સુનબેશા’નાં સુશોભિત દર્શન કરવાનો લહાવો પણ મળે છે
બહુડા યાત્રા
નાતન ધર્મ અનુસાર ચારધામની યાત્રા મનુષ્યનાં પાપ ખપાવે છે અને તેને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ અપાવી મોક્ષ બક્ષે છે. ચતુર્ધામ આપણી સંસ્કૃતિના ચાર યુગને રિપ્રેઝન્ટ કરે છે. બદરીનાથ સતયુગ છે, રામેશ્વર ત્રેતાયુગ, દ્વારકા દ્વાપરયુગ અને પુરી કલિયુગનું પ્રતિનિધિત્વ કરે છે. આઠમી સદીમાં હિન્દુ ધર્મનું પુનર્ગઠન કરનાર અને હિન્દુઓને નવેસરથી ધર્મપ્રણાલી દાખવનાર આદિ શંકરાચાર્યએ ભારત મહાદ્વીપના ચાર દિશાનાં પ્રમુખ બિંદુઓ પર આવેલી ભૂમિ, મંદિરો, ત્યાંની પવિત્રતા તેમ જ મહત્તાને અનુલક્ષીને ચાર તીર્થને ચારધામ ઘોષિત કર્યાં હતાં અને ત્યારથી દરેક હિન્દુઓ જીવનમાં એક વખત ચારધામની યાત્રા કરવાનો મનસૂબો સેવે છે.



