International Women`s Day 2026: ભારતીય સંગીત પરંપરામાં મહિલાઓનો ફાળો સદીઓથી રહ્યો છે. ભક્તિ અને આધ્યાત્મિક સંગીતના ક્ષેત્રમાં મીરાબાઈ અને લાલ દેદ જેવી સંત કવયિત્રીથી લઈને શાસ્ત્રીય સંગીતમાં....
ચારુ સુરી, અનુષ્કા શંકર, કલા રામનાથ, બોમ્બે જયશ્રી
ભારતીય સંગીત પરંપરામાં મહિલાઓનો ફાળો સદીઓથી રહ્યો છે. ભક્તિ અને આધ્યાત્મિક સંગીતના ક્ષેત્રમાં મીરાબાઈ અને લાલ દેદ જેવી સંત કવયિત્રીથી લઈને શાસ્ત્રીય સંગીતમાં એમ. એસ. સુબ્બુલક્ષ્મી, વીણા સહસ્રબુદ્ધે અને લક્ષ્મી શંકર જેવી દિગ્ગજ ગાયિકાઓએ સંગીતની પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવી છે. હવે આધુનિક સમયમાં પણ ઘણી ભારતીય મહિલા કલાકારો પરંપરાગત રાગોને આધુનિક સાઉન્ડ સાથે જોડીને આરામ, ધ્યાન અને માનસિક શાંતિ માટેનું સંગીત તૈયાર કરી રહી છે. આ કલાકારો ભારતીય સંગીતના સ્વરોને વૈશ્વિક મંચ સુધી પહોંચાડી ‘વેલનેસ મ્યુઝિક’ને નવી દિશા આપી રહ્યા છે.
ચારુ સુરી
ADVERTISEMENT
ઇન્ડો-અમેરિકન સંગીતકાર અને પિયાનોવાદક ચારુ સુરી તાજેતરમાં તેમના રાગા-જેઝ એલ્બમ ‘Shayan’ માટે ચર્ચામાં રહ્યા હતા. આ એલ્બમને ગ્રેમી એવોર્ડમાં ‘Best Contemporary Instrumental Album’ કેટેગરીમાં નામાંકન મળ્યું હતું. તેમાં કલ્યાણી, દેશ અને જોગ જેવા હિંદુસ્તાની રાગો સાથે જેઝની ઇમ્પ્રોવિઝેશનનો સુંદર સંગમ જોવા મળે છે.
Vedam Records સાથે રજૂ થયેલું ‘Shayan’ આધુનિક જીવનની ભાગદોડ વચ્ચે મનને શાંત કરવાની એક સંગીતમય યાત્રા જેવી અનુભૂતિ આપે છે. આ એલ્બમ સાથે તેમના અગાઉના પ્રોજેક્ટ્સ જેમ કે ‘The Book of Ragas’, ‘Rags & Ragas’ અને ‘Ragas & Waltzes’ પણ ભારતીય સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડતા રહ્યા છે. ચારુએ ગિટારિસ્ટ જિમ કિમો વેસ્ટ, ફ્લૂટવાદક પ્રેમિક રસેલ ટબ્સ અને સેલિસ્ટ ટેસ રેમી-શુમાખર જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે સહકાર પણ કર્યો છે.
અનુષ્કા શંકર
સિતારવાદક અનુષ્કા શંકરનું સંગીત વારસો અત્યંત સમૃદ્ધ છે. તેઓ પ્રખ્યાત સંગીતકાર પંડિત રવિ શંકરની પુત્રી અને શિષ્યા છે. તેમ છતાં, અનુષ્કાએ પોતાના સંગીતમાં નવી દિશાઓ શોધીને અલગ ઓળખ બનાવી છે.
તેમણે ક્લાસિકલ સંગીતની મર્યાદાઓને વિસ્તૃત કરીને અનેક વૈશ્વિક કલાકારો સાથે સહકાર કર્યો છે. કર્શ કાલે સાથેનું તેમનું પ્રોજેક્ટ ‘Breathing Under Water’ ખાસ નોંધપાત્ર રહ્યું છે. તેમની એલ્બમ ‘Land of Gold’ સહિતની રચનાઓમાં આધ્યાત્મિકતા અને ધ્યાન જેવી ઊંડાણભરી અનુભૂતિ જોવા મળે છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતા સાથે ‘Chants of India’ એલ્બમમાં પણ યોગદાન આપ્યું હતું, જેને જ્યોર્જ હેરિસને પ્રોડ્યુસ કર્યું હતું. ત્રણ દાયકાથી વધુ સમયથી વિશ્વભરમાં પ્રદર્શન કરતી અનુષ્કાને અત્યાર સુધી 14 વખત ગ્રેમી નામાંકન મળ્યું છે.
કલા રામનાથ
મેવાતી ઘરાણાની પ્રખ્યાત વાયોલિનવાદક કલા રામનાથને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ પ્રશંસા મળી છે. 2015માં San Francisco Chronicleએ તેમને “વિશ્વના શ્રેષ્ઠ સંગીતકારોમાંથી એક” તરીકે વર્ણવ્યા હતા, જ્યારે Jazzwise મેગેઝિને 2004માં તેમને “વિશાળ પ્રતિભા ધરાવતી સંગીતકાર” ગણાવી હતી.
પંડિત જસરાજ પાસેથી તાલીમ મેળવેલી કલા રામનાથ વિશ્વના અનેક પ્રતિષ્ઠિત મંચો પર પ્રદર્શન કરી ચૂક્યા છે, જેમાં સિડની ઓપેરા હાઉસ, લંડનનું ક્વીન એલિઝાબેથ હોલ અને ન્યૂયોર્કનું કાર્નેગી હોલ પણ સામેલ છે. પરંપરાગત શાસ્ત્રીય તાલીમ સાથે તેમણે પશ્ચિમી શાસ્ત્રીય, જેઝ, ફ્લેમેન્કો અને આફ્રિકન સંગીતના તત્વો પણ પોતાના સંગીતમાં સમાવવામાં સફળતા મેળવી છે. તેઓ માને છે કે સંગીતમાં માનસિક અને આધ્યાત્મિક ઉપચાર કરવાની શક્તિ છે.
બોમ્બે જયશ્રી
પ્રખ્યાત કર્ણાટક ગાયિકા બોમ્બે જયશ્રીએ 2009માં ફ્લૂટવાદક પંડિત રોનુ મજુમદાર સાથે ‘Wind Song’ નામનું જुगલબંધી એલ્બમ રજૂ કર્યું હતું. તેમાં ‘Before The Dawn’ અને ‘Evensong’ જેવી ધ્યાનમય રચનાઓનો સમાવેશ થાય છે.
ફિલ્મી ગીતો ઉપરાંત તેમની સંગીત યાત્રામાં ભજન, કૃતિઓ અને મંત્રો પણ મહત્વનો ભાગ છે. તેમનું ‘Smaranam – Song of the Soul’ પણ ખૂબ લોકપ્રિય રહ્યું છે. તેમની જીવંત સંગીત રજૂઆતો શાંત અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતી છે. બોમ્બે જયશ્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ માન્યતા ત્યારે મળી જ્યારે ફિલ્મ ‘Life of Pi’ માટેનું ગીત ‘Pi’s Lullaby’ ઓસ્કારમાં ‘Best Original Song’ કેટેગરીમાં નામાંકિત થયું હતું. આ કેટેગરીમાં નામાંકન મેળવનારું તે પ્રથમ તમિલ ગીત હતું.
આ તમામ કલાકારો સાબિત કરે છે કે ભારતીય સંગીત માત્ર મનોરંજન પૂરતું નથી, પરંતુ માનસિક શાંતિ, ધ્યાન અને આધ્યાત્મિક ઉર્જા માટે પણ શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેમની કૃતિઓ ભારતીય સ્વરોને વૈશ્વિક સ્તરે પહોંચાડીને ‘વેલનેસ મ્યુઝિક’ને નવી ઓળખ આપી રહી છે.
