સુશાંતનું દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સન્માન
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને જીવતા જીવ જેટલો પ્રેમ અને સન્માન મળ્યું છે તેના કરતા વધુ પ્રેમ અને સન્માન મૃત્યુ પછી મળી રહ્યું છે. હવે વધુ એક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતાનું મરણોપરાંત સન્માન કરવામાં આવશે. 'દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021'માં અભિનેતાનું સન્માન કરવામાં આવશે. આ વાતની જાહેરાત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી કરવામાં આવી છે.
દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના પેજ પરથી જાહેર કરવામાં આવ્યું છે કે, 'દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021'માં સુશાંત સિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવશે. જોકે, હજુ અવૉર્ડની તારીખ જાહેર કરવામાં નથી આવી.
ADVERTISEMENT
મહિના અગાઉ દુનિયા અને સિનેમાને યોગદાન આપવા બદલ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં સુશાંત સિંહ રાજપૂતને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. તેની બહેન શ્વેતા સિંહ કિર્તીએ તેનું સર્ટિફિકેટ સ્વીકાર્યું હતું.
એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે, મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ આ વર્ષના નેશનલ અવૉર્ડ્સમાં સુશાંત સિંહ રાજપૂતને ખાસ સન્માનિત કરી શકે છે. જોકે, હજુ મંત્રાલયે એ નક્કી નથી કર્યું કે આ સન્માન કયા પ્રકારનું હશે. રિપોર્ટમાં મિનિસ્ટ્રીના સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં મરણોપરાંત સન્માન આપવામાં આવતા આ સન્માનની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.
બૉલીવુડ હંગામાના રિપોર્ટમાં ભારત સરકારના સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છે કે, સુશાંતના મૃત્યુએ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હલાવી દીધી છે. મૃત્યુ પછી તેને જે સન્માન મળી રહ્યું છે તે હયાતીમાં ક્યારેય ન મળ્યું. આ અસંતુલનતાને યોગ્ય કરવી જોઈએ. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મો માટે સરકાર દ્વારા એક અલગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નેશનલ અવૉર્ડ્સ દરમ્યાન તેને સિનેમામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ વિશેષ પુરસ્કાર આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની પાંચ વર્ષની ટેલિવિઝન કારકિર્દી અને છ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં નેશનલ અવૉર્ડ કે ફિલ્મફેર અવૉર્ડ નથી મળ્યો. તેને ફક્ત બે સ્ક્રીન અવૉર્ડ મળ્યાં છે. આ સિવાય વર્ષ 2017માં ફિલ્મ 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' માટે મેલબર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. તે સિવાય 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' અને 'કાઈ પો છે' માટે ફિલ્મફેર અને આઈફામાં નોમિનેટ થયો હતો.