મને કોઈ સ્ટાર ઑફ ધ મિલેનિયમ તરીકે બોલાવે એ મને પસંદ નથી: બિગ બી
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમને કોઈ ‘સ્ટાર ઑફ ધ મિલેનિયમ’ તરીકે બોલાવે એ તેમને પસંદ નથી. અમિતાભ બચ્ચને ગુરુવારે રાતે મુંબઈમાં યોજાયેલી ગોવિંદ નામદેવની બુક-લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ બુકનું નામ ‘મધુકર શાહ બુંદેલા’ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ગોવિંદ નામદેવે તેમને ‘સ્ટાર ઑફ ધ મિલેનિયમ’ તરીકે સંબોધ્યા હતા. જોકે આ બિરુદ તેમને ૧૯૯૯માં BBC દ્વારા આપવામાં આવ્યું હતું. આ વિશે વધુ જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘હું આ વાત પર જરા પણ વિશ્વાસ નથી રાખતો. એની પાછળ એક સીક્રેટ સમાયેલું છે. BBC ન્યુઝે એક ઑનલાઇન સર્વે કરાવીને મને આ માન આપ્યું હતું. એ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તમારા મતે છેલ્લાં ૧૦૦ વર્ષોમાં કોણ સૌથી વધુ પૉપ્યુલર થયું છે. એ ઑનલાઇન સર્વેના આધારે મને વોટ મળ્યા હતા. જોકે મારું માનવું છે કે એ એક કમ્પ્યુટરની ભૂલ હોઈ શકે છે અને એની પાછળ કોઈ વાસ્તવિકતા નથી. લોકો જ્યારે મને આ લેબલ આપે છે ત્યારે હું ખૂબ શરમ અનુભવું છું. હું એક સાધારણ કલાકાર છું. જે લોકો મારી સાથે પ્લૅટફૉર્મ શૅર કરે છે તેઓ ખૂબ મહાન છે, કારણ કે હું તેમના વિચારોથી ખૂબ પ્રભાવિત થયો છું.’
આ પણ વાંચો : ઇતિહાસના વીરોને જાણવા માટે લોકો ઉત્સુક છે : અજય
ADVERTISEMENT
ગોવિંદ નામદેવ એક ઉમદા કલાકારની સાથે જ દેશભક્ત પણ છે : અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને હાલમાં જ ગોવિંદ નામદેવને એક ઉત્તમ કલાકારની સાથે જ એક દેશભક્ત પણ ગણાવ્યા છે. ગોવિંદ નામદેવે ‘મધુકર શાહ બુંદેલા’ નામનું પુસ્તક લખ્યું છે. આ બુક-લૉન્ચ વખતે અમિતાભ બચ્ચને હાજરી આપી હતી. અમિતાભ બચ્ચને અને ગોવિંદ નામદેવે ‘સરકાર રાજ’માં સાથે કામ કર્યું હતું. ગોવિંદ નામદેવની પ્રશંસા કરતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘ગોવિંદ ન માત્ર એક સારા કલાકાર છે, પરંતુ તેમનામાં દેશભક્તિ પણ છલોછલ ભરેલી છે. આ અવસરમાં સામેલ થઈને હું ખૂબ ગર્વ અનુભવું છું. આવું પહેલી વાર બન્યું છે કે મને કોઈ હિન્દી બુક લૉન્ચ માટે બોલાવવામાં આવ્યો હોય અને મને એની ખુશી છે.’