‘બૅરિસ્ટર બાબુ’ની યંગ બોન્દિતાના રોલ માટે પોતાનું નામ ચર્ચાતાં ગુસ્સે થઈ ઍક્ટ્રેસ અદા ખાન
અદા ખાન
‘બહનેં’ અને ‘અમ્રિત મંથન’ સહિતની અઢળક સિરિયલો અને ‘કૉમેડી નાઇટ્સ લાઇવ’ અને ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’ જેવા રિયલિટી શોનો ભાગ રહી ચૂકેલી ઍક્ટ્રેસ અદા ખાન છેલ્લે ‘નાગિન’ ચાર અને પાંચમાં દેખાઈ હતી. તાજેતરમાં અદા ખાન એક શોનો ભાગ ન હોવા છતાં સમાચારમાં ચમકી હતી! વાત એમ છે કે કલર્સ પર હાલમાં ચાલી રહેલા ‘બૅરિસ્ટર બાબુ’ શોમાં બોન્દિતાનું પાત્ર ઍક્ટ્રેસ ઔરા ભટનાગર ભજવી રહી છે. મેકર્સ હવે એ શોમાં લીપ લાવવાનું વિચારી રહ્યા છે. એટલે કે બોન્દિતા હવે મોટી થશે અને એ પાત્ર અદા ખાન ભજવવાની છે એવી વાતો થોડા દિવસ પહેલાં ચર્ચાતી હતી.
અદા ખાને જણાવ્યું કે ‘અમુક વેબસાઇટ્સ પર ક્રૉસ ચેક કર્યા વિના કંઈ પણ લખાતું હોય છે. મને ‘બૅરિસ્ટર બાબુ’ માટે કૉલ પણ નથી આવ્યો. આ પ્રકારના સમાચાર અને અફવા વાંચીને અમે તક ગુમાવીએ છીએ.’