ટીવીની સુપરસ્ટારે સોશ્યલ મીડિયા પર ફૅન્સને કહ્યું કે ઘરમાં હો ત્યારે તમે પણ મારી જેમ મેકઅપને તિલાંજલિ આપીને તો જુઓ
દિવ્યાંકા ત્રિપાઠી
ટીવી-ઇન્ડસ્ટ્રીમાં જબરદસ્ત નામ ધરાવતી અને છેલ્લે સ્ટાર પ્લસની ‘યે હૈં મહોબ્બતેં’માં જોવા મળેલી ડૉ. ઇશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી ઘરમાં હોય ત્યારે એક પણ પ્રકારનો મેકઅપ નથી કરતી. આ વાત દિવ્યાંકાએ પોતે હમણાં સોશ્યલ મીડિયા પર રિવિલ કરીને ફૅન્સને કહ્યું કે જેણે બહાર જવાનું હોય અને આખો દિવસ મેકઅપ સાથે રહેવાનું હોય તેણે પોતાની સ્કિનને ઑક્સિજન મળે એને માટે પણ ઘરમાં રહેવાનું હોય એવા સમયે મેકઅપથી દૂર રહેવું જોઈએ. દિવ્યાંકાએ કહ્યું કે ‘સારા દેખાવા માટે મેકઅપ કરવાનો હોય એ સાચું, પણ સાચા દેખાઈને સ્કિનનું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. સ્કિનને દરેક વખતે મેકઅપની જરૂર નથી. હું ઘરમાં હોઉં ત્યારે બિલકુલ મેકઅપ નથી કરતી, તમને પણ એ જ કહીશ કે અત્યારે લૉકડાઉન કે વર્ક ફ્રૉમ હોમના વાતાવરણમાં સ્કિનને મેકઅપથી આઝાદી આપજો.’
દિવ્યાંકા બહુ મોટું ફૅન-ફૉલોઇંગ ધરાવે છે. દિવ્યાંકા ત્રિપાઠીએ ‘યે હૈં મહોબ્બતેં’ પછી રાજીવ ખંડેલવાલ સાથે એકતા કપૂરની વેબ-સિરીઝ ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ પણ કરી. અત્યારે તે આ જ વેબ-સિરીઝની સેકન્ડ સીઝનની તૈયારી કરે છે.