આ જોડીની રિલેશનશિપ વિશે તેમની સાથે હાં... મૈંને ભી પ્યાર કિયા ફિલ્મ બનાવનાર સુનીલ દર્શને કર્યો ખુલાસો
કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન
ફિલ્મમેકર સુનીલ દર્શન એક તબક્કે કરિશ્મા કપૂરની ખૂબ નજીક હતા. તેમણે કરિશ્મા સાથે ‘જાનવર’, ‘હાં... મૈંને ભી પ્યાર કિયા’ અને ‘એક રિશ્તા : ધ બૉન્ડ ઑફ લવ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હાલમાં તેમણે કરિશ્મા અને અભિષેક બચ્ચનની રિલેશનશિપ વિશે તેમ જ તેમની સગાઈ તૂટવાના સમયગાળા વિશે વાત કરી છે.
કરિશ્મા અને અભિષેકના સંબંધોની વાત કરતાં સુનીલ દર્શને કહ્યું હતું કે ‘હાં... મૈંને ભી પ્યાર કિયા’નું આયોજન થઈ રહ્યું હતું ત્યાર સુધીમાં અભિષેક અને કરિશ્માએ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં. આ એક આકર્ષક જોડી હતી. એક તરફ અમિતાભ બચ્ચનનો દીકરો હતો અને બીજી તરફ રાજ કપૂરની પૌત્રી હતી. તેમના માટે ખાસ લખાયેલી એક માત્ર ફિલ્મ ‘હાં...મેૈંને ભી પ્યાર કિયા’ હતી.’
કરિશ્મા અને અભિષેકના તૂટેલા સંબંધ વિશે વાત કરતાં સુનીલ દર્શને કહ્યું કે ‘સંયોગથી જ્યારે અભિષેક અને કરિશ્માની સગાઈ તૂટી ત્યારે હું કરિશ્માના ઘરે જ હતો. આ લગ્ન ન થઈ શક્યાં એ દુઃખદ વાત હતી. આ પછી જે ભાવનાત્મક ઊથલપાથલ સર્જાઈ એને બહારની કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે સમજી શકે એમ નથી. આ પછી કરિશ્મા નવા વર્ષની ઉજવણી કરવા બૅન્ગકૉક ગઈ અને અચાનક મને ખબર પડી કે તે સંજય કપૂર સાથે લગ્ન કરવાની છે. આ નિર્ણય મને ક્યારેય સમજાયો નહીં. આ માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી. સંબંધો ખૂબ જ જટિલ હોય છે અને બે વ્યક્તિઓ વચ્ચે ખરેખર શું બન્યું હતું એ બહારની કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે સમજી શકતી નથી. આ મામલે લોકો બબીતા, જયા બચ્ચન, કરિશ્મા અથવા અભિષેકને દોષ આપે છે, પણ મને લાગે છે કે આવી બાબતોને નસીબ પર છોડી દેવી જોઈએ. અભિષેક અને કરિશ્માનો સંબંધ ઘણા ઉતાર-ચડાવમાંથી પસાર થયો હતો. દરેક સંબંધની પોતાની વિશેષતા હોય છે. બન્નેની સગાઈ તૂટી એ પહેલાં પણ બન્ને વચ્ચે અનેક મુદ્દે મતભેદ હતા.’
