યુવાન પુત્રની મોતે જગજીત સિંહને ઝંઝોળી મૂક્યાં હતાં
૧૯૯૦માં ૨૧ વર્ષના દીકરાના કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુથી જગજિત અને ચિત્રા સિંહ ભાંગી પડ્યાં હતાં
ખૂબ જ દુ:ખી થયેલાં ચિત્રા સિંહે લાઇવ પફોર્ર્મન્સ આપવાનું અને જાહેરમાં કોઈ પણ મુલાકાત આપવાનું બંધ કરી દીધું હતું. તેમનો અવાજ પણ આ ઘટના બાદ ચાલ્યો ગયો હતો. કહેવામાં આવે છે કે આ ઘટના પછી છ મહિના માટે જગજિત સિંહ આઘાતમાં રહ્યા હતા, પણ પછી ઘણા સ્ટ્રૉન્ગ બની ગયા હતા. ત્યાર પછી તેમણે એક આલબમ બહાર પાડ્યું હતું. ‘સમવન સમવેર’ નામના આ આલબમનાં ગીતો ખૂબ જ ઇમોશનલ અને લાગણીભર્યા છે, કારણ કે આ ગીતોમાં તેમણે અંગત જીવનમાં જે ગુમાવ્યું હતું એની લાગણીઓ ઉમેરાઈ હતી. જોકે જગજિત સિંહે આ શૉક પછી પણ સંગીતથી પોતાનો સંબંધ નહોતો તોડ્યો અને તેમણે પફોર્ર્મન્સ ચાલુ રાખ્યા હતા. એમ પણ કહેવામાં આવે છે કે તેમનાં સૌથી સારાં આલબમ આ ઘટના પછી જ આવ્યાં છે.
ચિત્રા સિંહ માટે ત્રીજો આઘાત
ગઝલસિંગર જગજિત સિંહનું મૃત્યુ તેમનાં પત્ની ચિત્રા સિંહ માટે ત્રીજો આઘાત સમાન બની ગયું છે. પહેલાં જુલાઈ ૧૯૯૦માં ૨૧ વર્ષના જુવાનજોધ દીકરાને કાર-ઍક્સિડન્ટમાં ગુમાવ્યા બાદ તેમણે પોતાનો અવાજ ગુમાવ્યો હતો અને લાઇવ પફોર્ર્મન્સ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યાર પછી ૨૦૦૯માં તેમનાં પહેલાં લગ્નથી થયેલી દીકરી મોનિકા ચૌધરીએ ૪૯ વર્ષની ઉંમરે તેના બાંદરાના ઘરે આપઘાત કયોર્ હતો. હવે હસબન્ડ જગજિત સિંહનું મૃત્યુ તેમના માટે ત્રીજો આઘાત રહ્યો હતો. આશા ભોસલેએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે તેઓ ચિત્રા સિંહની વ્યથા અને તેઓ કેટલાં એકલાં પડી ગયા હશે એ સમજી શકે છે.
લાઇફ-પાર્ટનર સાથે કરીઅરની ઊંચાઈ
જગજિત સિંહની કરીઅરની ઊંચાઈ તેમનાં વાઇફ ચિત્રા સિંહ સાથેની પાર્ટનરશિપનાં ગીતોથી આવી હતી. તેમની આ પાર્ટનરશિપનું સૌથી મોટું ઉદાહરણ મહેશ ભટ્ટની રાજકિરણ, શબાના આઝમી અને સ્મિતા પાટીલને ચમકાવતી ફિલ્મ ‘અર્થ’ હતી. ફિલ્મનાં બધાં ગીતો લોકોને પસંદ પડ્યાં હતાં અને એમાંના રોમૅન્ટિક ગીત ‘તૂ નહીં તો ઝિંદગી મેં...’માં જગજિત-ચિત્રાના અવાજે અલગ જ કેમિસ્ટ્રી જગાવી હતી. ત્યાર પછી પણ તેમના આલબમ અને ફિલ્મનાં ગીતોમાં ડ્યુએટ-સૉન્ગ્સ ઘણાં પસંદ કરવામાં આવતાં હતાં. જગજિત સિંહ અને ચિત્રા સિંહે તેમની કરીઅરમાં એકસાથે ઘણા લાઇવ-કૉન્સર્ટ્સ અને મ્યુઝિક-શોમાં હાજરી આપી હતી. તેમના લાઇવ-શો પણ ગીતમાં એ જ સમયે બન્ને દ્વારા લાવી શકતા બદલાવોને કારણે ઘણા પ્રખ્યાત થયા હતા. આને કારણે જ જગજિત સિંહના બેસ્ટ પફોર્ર્મન્સ વાઇફ ચિત્રા સિંહ સાથે આપવામાં આવ્યા હતા એવું માનવામાં આવે છે.
જગજિત-ચિત્રા સિંહનાં શ્રેષ્ઠ ગીતો
‘વો કાગઝ કી કશ્તી...’, ‘તૂ નહીં તો ઝિંદગી મેં...’, ‘યે બતા દે હમેં ઝિંદગી...’, ‘મિલકર જુદા હુએ તો...’, ‘પ્યાર મુઝસે જો કિયા તુમને...’, ‘યે તેરા ઘર યે મેરા ઘર...’, ‘ક્યૂં ઝિંદગી કી રાહ મેં...’, ‘દુનિયા જિસે કહતે હૈં...’, ‘આદમી, આદમી કો ક્યા દેગા...’ અને ‘બાદ મુદ્દત ઉન્હેં દેખકર...’